ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા ૪ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો: તંત્ર દ્વારા સાવચેતીની અપીલ: ગ્રીન સીટી અને દિ.પ્લોટમાં પણ કોરોના દેખાયો: ૧૦ દર્દીઓ સાજા થયા: હાલમાં શહેરમાં ૨૧ એકટીવ કેસ: જિલ્લામાં ભરતપુર અને બાદનપરમાં એક-એક કેસ નોંધાયો
જામનગરમાં ત્રણેક દિવસમાં આશરે ૧૫ જેટલા દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ગઇકાલે ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો, એટલું જ નહીં ૭૯ વર્ષની વૃઘ્ધા અને ગ્રીનસીટીમાં રહેતી ૩૩ વર્ષની યુવતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ૧૦ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખ્યા બાદ સાજા થઇ ગયા છે અને હાલ ૨૧ એકટીવ કેસ છે ત્યારે જોડીયા તાલુકાના બાદનપર અને ભરતપુરમાં એક-એક કેસ નોંધાયો હતો.
ગઇકાલે જામનગર મહાપાલીકાની યાદીમાં જણાવ્યા અનુસાર ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતી ૨૪ અને ૨૨ વર્ષની બે યુવતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે ૨૧ અને ૨૨ વર્ષના બે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, ડેન્ટલ કોલેજમાં રિપોર્ટ પોઝીટીવ આવતા ડીન દ્વારા કોવીડ પ્રોટોકોલ કોલેજમાં લાગુ કરી દેવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીને માસ્ક પહેરીને કોલેજમાં પ્રવેશવા જણાવી દેવામાં આવ્યું છે.
બીજી તરફ દિ.પ્લોટ વિસ્તારમાં રહેતી ૭૯ વર્ષની વૃઘ્ધાને તાવ, શરદી, ઉધરસ થયા બાદ તેનો રિપોર્ટ કરાવવામાં આવતાં રિપોર્ટ પોઝીટીવ આવતા મહાપાલીકા દ્વારા આરોગ્ય ટીમને મોકલી દેવામાં આવી હતી, ઉપરાંત ગ્રીન સીટી વિસ્તારમાં પણ એક ૩૩ વર્ષની યુવતિનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જામનગરમાં અગાઉ દાખલ થયેલા દર્દીઓમાના ૧૦ દર્દીઓ સાજા થઇ જતાં તેને હોમ આઇસોલેશનમાંથી મુકત કરવામાં આવ્યા છે. ઉપરાંત જોડીયા તાલુકાના બાદનપર અને ભરતપુરમાં પણ એક-એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
કોરોના વધી જતાં મહાપાલીકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ કર્યો હતો અને જેમને કોરોના થયો છે તેમના ઘરના કેટલાક સભ્યોના પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. જામનગર કોર્પોરેશનના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ કોરોનાની કીટ તૈયાર રાખવામાં આવી છે, લોકોને પણ શરદી-ઉધરસ હોય તો આ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે તપાસ કરાવી શકે છે, જામનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કોરોના શ થઇ ગયો છે.
કોરોનાથી બચવા શું કરવું જોઇએ...?: તાવ આવે તો આઇસોલેટ થઇ જવું...
જામનગર શહેરમાં કોરોના વકરી રહ્યો છે, દિન-પ્રતિદિન કેસોમાં વધારો થતો જાય છે ત્યારે ડોકટરોના જણાવ્યા મુજબ જો શરદી, તાવ, ઉધરસ થાય તો ૫ દિવસ ઘરમાં આઇસોલેટ થઇ જવું જેથી ઘરના સભ્યો પણ લપેટમાં ન આવે, પાણી, જયુસ અને લીકવીડનું પ્રમાણ વધારી દેવું તેમજ ભીડવાળી જગ્યામાં જવાનું ટાળવું અને બહાર નિકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો. શકય હોય ત્યાં સુધી બપોરે ૧૨ થી ૫ તડકામાં બહાર ન નિકળવું, તડકામાં ડી-હાઇડ્રેશન થાય તો ઇમ્યુનીટી ડાઉન થઇ શકે જેથી ઇન્ફેકશન થવાની પણ શકયતા છે. સ્વચ્છતા જાળવવી અને બહારથી ઘરમાં આવો ત્યારે હાથ સેનીટાઇઝરથી ધોવા. કોરોનાથી બચવા કીવી તેમજ ખાટા ફળનું પ્રમાણ વધારવું જેથી શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ જળવાઇ રહે.