અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

  • June 06, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિબિરમાં પંચાયતી માળખુ, નેતૃત્વના ગુણો, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવાઓની શક્તિને રચનાત્મક માર્ગે વાળવા અંગેની સમજૂતી અને માર્ગદર્શન અપાશે

શિબિરમાં ભાગ લેવા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર ખાતે 13 જૂન પહેલા નોંધણી કરાવવાની રહેશે

જામનગર, ૬ જૂન, ૨૦૨૫: ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા/ઝોન કક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.


આ યોજના રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવી છે. જામનગરમાં પણ પ્રત્યેક તાલુકા અને મહાનગરના ઝોન કક્ષાએ આ શિબિર જુલાઈ માસમાં યોજવામાં આવશે. પ્રત્યેક શિબિરમાં ૪૫ યુવક-યુવતીઓને ૪ દિવસની તાલીમ આપવામાં આવશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવક-યુવતીઓના વ્યક્તિગત વિકાસને વેગ આપવાનો છે. શિબિર દરમિયાન, નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં યુવા મંડળની સ્થાપના અને રચનાની કાર્યપદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગેની સમજૂતી અને માર્ગદર્શનનો સમાવેશ થાય છે.
​​​​​​​

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા માત્ર અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં-૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી ફોર્મ મેળવી શકશે. નામ નોંધણી કરાવવાની છેલ્લી તારીખ ૧૩ જૂન, ૨૦૨૫ છે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૨૦૯ પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application