જામનગરમાં ૨૦૨૦ની સાલમાં સ્વામીનારાયણનગરથી ગાંધીનગરથી ડીપી કપાતની કામગીરી પેન્ડીંગ રહ્યા બાદ ૩૩૧ જેટલા આસામીઓના બાંધકામો તોડી પાડવા માટે આખરી નોટીસ અપાઇ હતી, કેટલાક લોકો કોર્ટમાં પણ ગયા હતાં, આખરે પ્રથમ દિવસે ૧૧૧, બીજા દિવસે ૮૯ અને આજે સવારે ૧૦:૩૦ સુધીમાં ૨૫ જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરીવળ્યું છે.
હજુ આજે અને આવતીકાલે ડીમોલીશનની કામગીરી ચાલશે, ભાજપના એક નગરસેવકની ૪૦ જેટલી દુકાનો પણ તોડી પાડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, બીજી તરફ કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, ડીપી કપાતની લાઇન દોરી બે વખત બદલવામાં આવી છે અને કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવામાં આવ્યો છે, ભૂતકાળમાં રૂ.૧૦ના સ્ટેમ્પ ઉપર અનેક જગ્યાઓ અને મકાનનું વેંચાણ થયું હોવાનું બહાર આવ્યું છે અને આજ સવારથી ૧૦ જેસીબી, ૧૦ ટ્રેકટર, ૨ હીટાચી, ૧૦૦ જેટલા કોર્પોરેશનના કર્મચારીઓ અને ૭૫થી વધુ પોલીસ કર્મચારીઓ વિનાયક પાર્કમાં થઇ રહેલા ડીમોલીશનની કાર્યવાહીમાં જોડાયા છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી ડીમોલીશન ચાલી રહ્યું છે, ત્યારે અગાઉ અરજદારોને સાંભળવામાં આવ્યા છે અને નિયમ મુજબ નોટીસ પણ પાઠવવામાં આવી છે, નવાગામની મધુરમ સોસાયટીથી મેગા ડીમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જયાં લોકોએ વિરોધ પણ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી, આ ડીમોલીશનની કામગીરીમાં મેડીકલ ટીમ પણ જોડાઇ છે, ઉપરાંત અશકતો માટે લેબોરેટરી પણ રાખવામાં આવી છે, ડીપી કપાતમાં ૪૫ આખા મકાનો, ૪૦ આખી દુકાન અને ૨૪૬ જેટલા મકાનોનું આંશીક ડીમોલીશન એકધારૂ કરવામાં આવશે. રીવરફ્રન્ટ અને ડીપી કપાતમાં થઇને લગભગ ૩૬૦ જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, કોર્પોરેશનની ટીમમાં વોટર વર્કસ, ટીપીઓ શાખા અને ફાયર બ્રિગેડનો સમાવેશ થાય છે.
મ્યુ. કમિશ્નરના નેજા હેઠળ ડીએમસી ઝાલા, આસી.કમિશ્નર ભાવેશ જાની, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, મુકેશ ગોસાઇ, અનીલ ભટ્ટ, ઉર્મિલ દેસાઇ, અનવર ગજણ, નિતીન દિક્ષીત, વાણીયાભાઇ સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજે પણ મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ લગભગ બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે અને ૩૩૧ આસામીઓના મકાનો ડીપી કપાતમાં આવે છે, તેના ઉપર બુલડોઝર ફરીવળશે.
થોડા દિવસ પહેલા આ ડીપી કપાતની કાર્યવાહી કરવા માટે નકકી કરાયું હતું, પરંતુ આ કાર્યવાહી થઇ શકી ન હતી, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ મીટીંગ કરીને પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને આ ડીમોલીશન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું અને હવે આ વિસ્તારમાં ૩.૫ કિ.મી. નો રસ્તો બનશે. ડીપી કપાતની કામગીરી ૫ વર્ષ મોડી થઇ છે, પહેલા ૧૮ મીટરનો રસ્તો બનાવવાનું નકકી થયું હતું, પરંતુ લોકોની લાગણીને ઘ્યાનમાં રાખીને ૧૨ મીટરનો રસ્તો કરવામાં આવ્યો છે. આ કામગીરી સવારથી શરૂ થઇ છે અને ૧૦:૩૦ સુધીમાં ૨૫ જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.