બેફામ કાર ચલાવી 8 વાહનને ઉલાળ્યા, પછી રોષે ભરાયેલા લોકોએ ઢોર માર મારતા કારચાલકનું મોત, અમદાવાદની ચોંકાવનારી ઘટના

  • April 16, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં અવારનવાર પૂરપાટ ઝડપે કાર ચલાવી વાહનોને ઉલાળવાની ઘટનાઓ બને છે. ત્યારે ગત રાત્રે વધુ એક આવી ઘટના બની હતી. શહેરના વાસણાથી જુહાપુરા સુધીમાં કારચાલકે આઠ વાહનને ઉલાળ્યા હતા. બાદમાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી ઢોર માર મારતા તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. કારચાલક નશામાં હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.


માર મારવાના કારણે તેનું કારણ હજુ અકબંધ

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા રોડથી જુહાપુરા સુધીમાં ટેક્સી પાર્સિંગ ધરાવતી કારના ચાલકે આઠ વાહનને ટક્કર મારી હતી. ડ્રાઈવર મૂળ ભાવનગરનો કૌશિક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ હતી. બાદમાં કાર રોકાઈ હતી. અકસ્માત બાદ ટેક્સી ડ્રાઇવર લોકોના હાથે ચડી ગયો હતો. લોકોએ કાયદો હાથમાં લઈ તેને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, કારચાલકનું મોત અકસ્માતમાં થયું હતું કે માર મારવાના કારણે તેનું કારણ હજુ અકબંધ છે. 


પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

આ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલકે જે વાહનોને ટક્કર મારી તેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને મૃતક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 


જુહાપુરામાં પણ આ ડ્રાઇવરે 7થી 8 લોકોને અડફેટે લીધા

નશામાં ધૂત કારચાલક વાસણાથી કેટલાંક વાહનોને અડફેટે લેતા-લેતા આવ્યો હતો. જેના કારણે કેટલાંક વાહનો તેનો પીછો કરી તેની પાછળ આવી રહ્યા હતાં. આ લોકોથી બચવા માટે જુહાપુરાની તંગ ગલીમાં આવ્યો હતો. જુહાપુરામાં પણ આ ડ્રાઇવરે 7થી 8 લોકોને અડફેટે લીધા હતાં. બાદમાં સ્થાનિક લોકોના હાથે ચઢી જતાં લોકોએ તેને ઢોર માર માર્યો હતો. આ સિવાય રોષે ભરાયેલી ભીડે કારમાં પણ તોડફોડ કરી હતી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારચાલક મૃત હાલતમાં પડ્યો હતો. 


કારચાલક મૂળ ભાવનગરનો 

પોલીસે આ મામલે જણાવ્યું કે, અમને 9 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. જુહાપુરામાં તે અનેક ગાડીઓને ટક્કર મારતા-મારતા આવ્યો હતો. હાલ ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. સીસીટીવીના આધારે અમે વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક મૂળ ભાવનગરનો છે અને હાલ ઈસનપુરનો રહેવાસી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application