70 લાખના ચેક રિટર્ન કેસમાં સેશન્સે નિર્દોષ છોડેલા કારખાનેદાર સામે ફરી ફરિયાદની માંગણી ફગાવાઈ

  • April 22, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
૭૦ લાખના ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની સજાના હુકમ સામેની અપીલમાં નિર્દોષ છૂટેલા પાટીદાર અગ્રણી અને કારખાનેદાર મહેશ ટીલાળા સામે ફરી ફરિયાદ દાખલ કરવાની માગણી અદાલતે ફગાવી દીધી છે. આ અંગેની હકીકત મુજબ, શહેરમાં રહેતા મયુર લાભશંકર ધાંધિયા અને લલિતા તારાચંદ શાહ પાસેથી મિત્રતાના દાવે શિવમ મશીન ટૂલ્સવાળા મહેશ જીવાભાઈ ટીલારાએ પોતાના ધંધામાં આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા રોકડા 20 લાખ લીધા હતા, તે રકમ સમયસર પરતના આપતા લલિત શાહ અને મયુર ધાંધિયા દ્વારા જે તે સમયે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેશ ટીલાળા નિવેદન લઇ અલગ અલગ ચેકો પોલીસની હાજરીમાં ફરિયાદી વગેરેને આપેલા, જે પૈકી 70 લાખના બે ચેક બેંકમાંથી રિટર્ન થતા બે અલગ અલગ ફરિયાદ અદાલતમાં દાખલ કરેલ, જેમાં મહેશ ટીલાળાને બે વર્ષની કેદ અને 1.25 કરોડ, 80 હજારનો દંડનો હુકમ કરેલો, જે હુકમ સામે આરોપી મહેશભાઈએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણીમાં ટ્રાયલ કોર્ટના ચુકાદામાં રહેલ ગંભીર કાયદાકીય ભૂલો અંગે વકીલ ગોકાણી દ્વારા દલીલો કરેલી. જેમાં ફરિયાદ નિયમ કરતા વહેલી કરવામાં આવી છે, જેથી લલીત શાહ તથા મયુર ધાંધીયાએ કરેલ ફરીયાદ કાયદાની પરીભાષા મુજબ ફરીયાદ જ ન હોય અને ક્ષતિયુક્ત ફરિયાદ

હોવાનું ઠરાવી સેશન્સ કોર્ટે મહેશ ટીલારા દ્વારા કરવામાં આવેલ બન્ને અપીલો મંજુર કરી બે વર્ષની કેદની સજા તેમજ સવા કરોડથી વધુ રકમના દંડના હુકમો રદ કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો જાહેર કરેલ હતો. જે પછી બન્ને ફરિયાદીઓ દ્વારા ફરી વખત ફરિયાદ દાખલ કરવા પરવાનગી માંગતી અરજી કરવામાં આવેલ હતી. આ અરજી ચાલવા ઉપર આવતા અગાઉ ગુન્હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ સુચીત આરોપી મહેશ ટીલારાના એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલો કરી હતી કે ફરીયાદી તરફથી ફરીયાદ પાછી દાખલ લેવા અંગે કોઈ વ્યાજબી અને પર્યાપ્ત કારણો દર્શાવવામાં આવ્યા નથી. તેમજ પ્રિમેચ્યોર ફરીયાદ ઢીલ માફીની અરજીથી નિયમિત થઈ શકે નહી, ભારતના બંધારણના અનુચ્છેદ-૨૦ મુજબ કોઈપણ વ્યકિત વિરૂધ્ધ એક જ ગુન્હા માટે એકથી વધુ વખત કાયદાકીય કાર્યવાહી ચલાવી શકાય નહી તેવી સ્પષ્ટ જોગવાઈની ભાર પૂર્વક રજૂઆતો કરેલ હતી.

બન્ને પક્ષકારોની રજૂઆતોના અંતે સ્પેશ્યલ અદાલત દ્વારા આરોપી મહેશભાઈ ટીલારાને સેશન્સ અદાલત દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હુકમ બહાલ રહયો હતો. આ કામમાં બચાવ પક્ષે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુક્રિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News