વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. ૩માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.૭૦)ની શુક્રવારના મોડી સાંજે ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી, સોનાના દાગીનાની લૂંટ ચલાવાયાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લઇ બે આરોપી કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.૨૨, રહે. હાલ કારડિયા રાજપૂત છાત્રાલય, જૂની ધરમ સિનેમા સામે, મૂળ સતાપર, તા. જામજોધપુર) અને તેની મિત્ર સ્નેહલબા પ્રતાપસિંહ ગોહીલ (ઉ.વ.૨૨, રહે. હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, બ્લોક નં. ૩૩૩, કોઠારિયા સોલવન્ટ, મૂળ છાત્રા, તા. તળાજા)ને ઝડપી લઇ લૂંટી લીધેલા સોનાના દાગીના સહિત કુલ રૂા. ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપીઓએ કાવતરૂ ઘડી લુંટના ઇરાદે વૃધ્ધાની હત્યા કરી હતી. આજરોજ બંને આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. આરોપીઓ સામે લુંટ અને કાવતરાની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. સભંવત બપોર બાદ બંને આરોપીઓ પાસે ઘટનાનું રિકસ્ટ્રશન કરવામાં આવશે.
સ્નેહલબા એક વર્ષ પહેલા વૃદ્ધના ઘરે પાર્સલ આપવા ગઈ હતી
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આરોપી કિશન અને સ્નેહલબા ફલીપકાર્ટના ડો. યાજ્ઞિાક રોડ પર આવેલા વેર હાઉસમાં ડિલીવરી બોય અને ડિલીવરી ગર્લ તરીકે નોકરી કરતા હતાં. જેના કારણે એક-બીજા સાથે મિત્રતા થઈ હતી. કિશને થોડા સમય પહેલાં જ નોકરી મૂકી દીધી હતી. ત્યાર પછી સ્નેહલબાએ પણ નોકરી મુકી દીધી હતી. નોકરી કરતી હતી ત્યારે એકાદ વર્ષ પહેલા તે મૃતક બરકતભાઇના ઘરે પાર્સલ આપવા ગઇ હતી. જેને કારણે તેની સાથે પરિચયમાં આવી હતી. તે સાઇડમાં ગોલ્ડ લોનનું પણ કામ કરતી હતી. જેથી તેનું પેમ્ફલેટ પણ આપ્યું હતું.
ઘરે બધી તૈયારી સાથે યોજનાને અંજામ આપવા ગયા
હાલમાં કિશન અને સ્નેહલબાને પૈસાની જરૂરિયાત હતી. સ્નેહલબા મૃતક બરકતભાઈને ઓળખતી હોવાથી તેને ખબર હતી કે તે સોનાના દાગીના પહેરવાના શોખીન છે. હંમેશા બંને હાથની આઠ આંગળીમાં વીંટીઓ પહેરે છે, આ ઉપરાંત ગળામાં સોનાનો ચેન અને સોનાની લક્કી પણ પહેરે છે. આ સંજોગોમાં તેને લૂંટી લેવાની યોજના બનાવી હતી.બે દિવસ પહેલાં એક્ટિવા ઉપર બંને તેના ઘરે બધી તૈયારી સાથે યોજનાને અંજામ આપવા ગયા હતા.
પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો
સામાન્ય વાતચીત થયા બાદ કિશન ઉભો થયો હતો. તે સાથે જ તેણે પાછળથી મૃતક બરકતભાઈનું મોઢુ દબાવી, તેના ગળામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી મૃતક બરકતભાઈ તરફડીયા મારવા લાગ્યા હતાં. આમ છતાં તેણે પ્રતિકાર કરી છરી પડાવી લીધી હતી. તે સાથે તેની પાસેથી છરી પડાવવા કિશન અને સ્નેહલબાએ ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન સ્નેહલબાના હાથમાં છરી આવી જતાં તેણે પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
બંનેના કપડા લોહીવાળા થઇ ગયા
આ રીતે તેની હત્યા કરી આઠ આંગળીમાં પહેરેલી વીંટીઓ, સોનાનો ચેન, લક્કી અને ઘરમાં પડેલી ચારેક ઘડિયાળો લૂંટી લીધી હતી. બંનેના કપડા લોહીવાળા થઇ ગયા હોવાથી અહીં જ સ્નાન કરી ત્યાં જ સાથે લાવેલા કપડા બદલી બહાર નીકળી હતાં.
સ્નેહલબાને પણ ઝડપી લીધી હતી
લૂંટી લીધેલા દાગીના કિશન પોતાની સાથે લઇ ગયો હતો. તે સ્નેહલબા સાથે પોતાના વતન સતાપર જવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા જ બાતમી મળી જતાં ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. ત્યાર પછી સ્નેહલબાને પણ ઝડપી લીધી હતી. આ કામગીરીમાં એસીપી ક્રાઇમ બી.બી.બસીયાની માર્ગદર્શનમાં પીઆઇ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર અને સીએચ જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર,વી.ડી.ડોડીયા અને એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમે કામગીરી કરી હતી.
બંનેને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરા
બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે.ગોહિલ,રાઇટર નિલેશભાઇ મકવાણા તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બંનેએ લુંટના ઇરાદે જ કાવતરૂ ઘડી વૃધ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.જેથી બંને સામે કાવતરા અને લૂંટની કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરાશે. આજરોજ બપોરબાદ બંનેને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરાશે.
હત્યા પૂર્વે યુવતી ત્રણેક વખત જયારે કિશન એક વખત વૃધ્ધના ઘરે ગયો’તો
હત્યાના આ બનાવ પૂર્વે સ્નેલબા વૃધ્ધ બરકતભાઇના ઘરે ત્રણેક વખત કોઇ કામને લઇ ગઇ હતી.જયારે બનાવના ૩ દિવસ પૂર્વે યોજનાના ભાગરૂપે બંને બરકતભાઈના ઘરે ગયા હતા. તે વખતે કિશને તેની સાથે સિગરેટ પણ પીધી હતી. ઘરની આ મુલાકાત દરમિયાન બંનેએ ખાતરી કરી લીધી હતી કે મૃતક બરકતભાઈ એકલા જ રહે છે. ઘરમાં સીસીટીવી કેમેરા પણ નથી. તે જાણી લીધું હતું.
હત્યા બાદ બંને બોર્ડિંગ ગયા, બાદમાં ન્યારી ડેમે છરી છુપાવી
પોલીસે જણાવ્યું હતું કે, હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ કિશન અને સ્નેહલબાદ બંને અહીંથી કિશન જયા રહે છે તે કસ્તુરબા માર્ગ પર આવેલી કારડીયા રાજપુત છાત્રાલયે ગયા હતાં. અહીં કપડાં બદલાવી બાદમાં ન્યારીડેમ પર ગયા હતાં.અહીં બે કલાક જેટલો સમય બેસી રહ્યા બાદ બંનેએ છરી અહીં પોટલામાં રાખી ડેમ પાસે અવાવારૂ જગ્યાએ છુપાવી દીધી હતી. પોલીસે આ છરી કબજે કરી છે.
માસ્ટર માઇન્ડ સ્નેહલબાએ સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે
વૃધ્ધની હત્યા કરવામાં માસ્ટર માઇન્ડ તરીકે સ્નેહબા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.યુવતી આગાઉ બેંકમાં ગોલ્ડ વિભાગમાં નોકરી કરતી હતી. આ યુવતીએ સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech