અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સગીરાનું જજ સમક્ષ નિવેદન- જયરાજસિંહના માણસોએ ખોટા નિવેદન આપવા દબાણ કર્યું

  • June 09, 2025 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ચકચાર જગાવનારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હનીટ્રેપનો આક્ષેપ જે સગીરા પર લગાવવામાં આવ્યો છે, તેણે આજે JMFC (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ) કોર્ટમાં નિવેદન આપીને સનસનાટી મચાવી છે. સગીરાએ કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, તેના પર દુષ્કર્મ થયું છે અને પોલીસ તેને ખોટી રીતે ફસાવી રહી છે.


સગીરાએ પોતાના નિવેદનમાં જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વધુમાં, તેણે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.


આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા 

સગીરાએ પોતાના વકીલ મારફતે કોર્ટ સમક્ષ આ નિવેદન આપ્યું હતું. તેના વકીલે આ કેસમાં દુષ્કર્મનો અલગ ગુનો દાખલ કરવાની માંગ પણ કરી છે. સગીરાના આ નિવેદનથી સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ છે અને પોલીસ તપાસ પર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાક્રમથી રાજકોટમાં આ કેસ વધુ જટિલ બન્યો છે અને પોલીસ હવે કયા પગલાં લે છે તે જોવું રહ્યું. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.


અમિત ખૂંટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો

પીડિતાએ જણાવ્યું કે, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી પણ નથી, બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર પણ સગીરા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અમિત ખૂંટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો છે. મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.


આમાં 22થી 23 પોલીસ અધિકારીના નામ ખુલે તેમ છે

સહઆરોપી પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું કે, પૂજા રાજગોર દ્વારા ગેરકાયદેસર અટકાયત સહિતની બાબતો અંગે ફરિયાદ કરવામાં આવી છે. આજરોજ અન્ય સહઆરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકીશોરી દ્વારા JMFCની કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે. અમારા દ્વારા જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવીએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. પરમાર સહિતના વિરુદ્ધ અલગથી ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. ગેરકાયદેસર અટકાયત, અપહરણ, ધાક ધમકી આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવશે. આમાં 22થી 23 પોલીસ અધિકારીના નામ ખુલે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application