મિલ્કતવેરા વળતર યોજનામાં ૭ દિવસમાં ૪૪,૪૦૯ કરદાતાએ રૂ.૨૩.૧૯ કરોડ ભર્યા

  • April 15, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૯-૪-૨૦૨૫થી વેરા વળતર યોજના હેઠળ વસુલાત શરૂ કરાઇ હતી. દરમિયાન આજે તા.૧૫ના રોજ બપોરે રિશેષ સુધીમાં કુલ ૪૪,૪૦૯ કરદાતાઓ દ્વારા રૂ.૨૩.૧૯ કરોડનો વેરો ભરપાઇ કરાયો છે જેમાં ૩૬,૧૩૮ કરદાતા દ્વારા ઓનલાઇન રૂ.૧૮.૭૯ કરોડ તથા ૮,૨૭૧ કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ.૪.૪૦ કરોડની આવક થઇ છે. ઉપરોક્ત કુલ વેરામાં ૨.૮૭ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે વેરો સ્વીકારવામાં આવે છે. ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા,પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવી છે.

તા.૩૧ મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા ઉપર ચાલુ વર્ષના માંગણા પર ૧૦ ટકા વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. ઉપરોકત વળતર ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે.તદઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા વળતર આપવામાં આવશે. જ્યારે ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. વહેલી તકે એડવાન્સ વેરો ભરપાઇ કરી યોજનાનો લાભ લેવા કરદાતાઓને અપીલ કરવામાં આવી છે.

જ્યારે તા.૧ જુનથી ૩૦ જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા ઉપર પાંચ ટકા વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ એક ટકા આપવામાં આવશે. સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ એક ટકા આપવામાં આવશે. જ્યારે ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ પાંચ ટકા વળતર આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ વેરા વળતર યોજનાનો લાભ મેળવ્યો

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આજે પોતાના નિવાસ સ્થાનનો મિલ્કત વેરો પત્રકારોની ઉપસ્થિતિમાં ચેક કરાવ્યો હતો ત્યારબાદ એડવાન્સ વેરો ભરપાઇ કરીને તેમણે પણ એક નાગરિક તરીકે વેરા વળતર યોજનાનો લાભ મેળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application