યુવકની બેરહેમીથી હત્યા...ભાઈને બહેનનો પ્રેમસંબંધ મંજૂર ન હોય તેના પ્રેમીને ઘાતક હથિયારથી પતાવી દીધો

  • April 17, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ગામે મલાર વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘાતક હથિયારોના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી શખ્સો નાસી છૂટ્યાની ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને મૃતક યુવાનના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે પ્રથમ ઘોઘા અને ત્યાંથી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનના ભાઈએ રાજપરા ગામના જ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હત્યારા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાનને ગામની જ એક યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવતીના ભાઈ સહિતનાઓએ યુવાનની હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક વિગતોમાં ખુલ્યું હતું. હત્યાની ઘટનાના પગલે સમગ્ર ઘોઘા પંથકમાં ચકચાર મચી હતી.


પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

ઘટના અંગે ઘોઘા પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે મલાર વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ચૌહાણ(ઉ. વ. આ. ૨૧)પર ઘાતક હથિયારોના ઘા ઝીંકી તેની હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યાની મૃતક યુવાનના પરિવારજનોએ ઘોઘા પોલીસને જાણ કરતા ઘોઘા પોલીસનો કાફલો રાજપરા ગામે દોડી ગયો હતો. અને હત્યા કરાયેલી હાલતમાં વાડી વિસ્તારના રસ્તા પર પડેલ રાકેશભાઈના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે પ્રથમ ઘોઘાના સરકારી દવાખાને અને ત્યાંથી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


આરોપીઓ હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા

આ અંગે મૃતક રાકેશભાઈના ભાઈ અમિતભાઈ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ચૌહાણ (રે. મલાર વાડી વિસ્તાર, ખારા રાજપરા ગામ, તા. ઘોઘા, જિ. ભાવનગર)એ આ જ ગામે રહેતા તેના કૌટુંબિક જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નિતીન જેન્તીભાઈ ચૌહાણ અને તેના મિત્રો સામે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મૃતક પોતાના મોટાભાઈ રાકેશભાઈને કૌટુંબિક અશોકભાઈની પુત્રી કોમલ સાથે પ્રેમસંબંધ હોય જેને લઈ જયદીપ ઉર્ફે ભકુડો સાથે થયેલી બોલાચાલી અને ઝઘડાની દાઝે જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નિતીન જેન્તીભાઈ ચૌહાણ અને તેના મિત્રોએ રાકેશભાઈ સાથે ઝઘડો કરી તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી રાકેશભાઈની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા. 


ઘોઘા પંથકમાં ભારે ચકચાર મચી

મૃતક રાકેશભાઈના ભાઈ અમિતભાઈએ નોંધાવેલી ફરિયાદના પગલે ઘોઘા પોલીસના પીએસઆઈ ભુરાભારથી ગૌસ્વામીએ જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નીતિન જેન્તીભાઈ ચૌહાણ તેમજ તેના મિત્રો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. રાજપરા ગામે થયેલી યુવાનની હત્યાના પગલે ઘોઘા પંથકમાં ભારે ચકચાર મચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application