પરા બજારમાં રેંકડી ધારકોનો અસહ્ય ત્રાસ; વેપારીઓની મહાનગરપાલિકામાં ફરિયાદ

  • May 24, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરની મુખ્ય બજાર એવી પરા બજારમાં રેંકડી ધારકોનો અસહ્ય ત્રાસ હોય આ અંગે બજારના દુકાનદાર વેપારીઓ દ્વારા રાજકોટ મહાપાલિકામાં ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળે છે.

પરાબજારમાં ચારેય બાજુ રેંકડી ધારકો મુખ્ય માર્ગ ઉપર દબાણરૂપ અને નડતરરૂપ રીતે ઉભા રહી જતા હોય દુકાનદાર વેપારીઓની દુકાને ચીજ વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકો આવી શકતા નથી. વારંવાર કહેવા છતાં આ ધંધાર્થીઓ તેમની રેંકડીઓ દૂર કરતા ન હોય વેપારીઓને પણ દુકાન સુધી પહોંચવામાં તેમજ પોતાના વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત કરાઇ છે.

આજકાલ દૈનિક સમક્ષ વેપારીઓએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાપાલિકાની દબાણ હટાવ બ્રાન્ચનો ભ્રષ્ટ સ્ટાફ હપ્તાના ઉઘરાણા કરવામાંથી જ ઉંચો આવતો ન હોય તેમજ રેંકડી ધારકો પાસેથી મફત શાકભાજી અને ફળફળાદિના ઝબલા ભરી જતો હોય દબાણ હટાવ સ્ટાફ ક્યારેય રેંકડીધારકો સામે કાર્યવાહી કરતો નથી ! અથવા મહાપાલિકામાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી ફરિયાદ કરવામાં આવે તો ફક્ત કહેવા પુરતી કામગીરી કરીને ટીમ રવાના થઇ જાય છે.

તદઉપરાંત આજુબાજુમાં બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની વિવિધ બેન્કો પણ આવેલી હોય ત્યાં આવતા જતા ગ્રાહકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિકને કારણે સતત જોખમ પણ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application