નડિયાદમાં દેશી દારૂ પીતા અડધા કલાકમાં જ ત્રણ લોકોના ટપોટપ મોત થતા ખળભળાટ, લઠ્ઠાકાંડની શંકા, પોલીસ દોડતી થઈ

  • February 10, 2025 08:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડની ઘટનાની શંકા સેવાઇ રહી છે.  નડિયાદના જવાહરનગર વિસ્તારમાં મોડીરાત્રે દેશી દારૂ પીધા બાદ માત્ર અડધા કલાકમાં જ ત્રણ લોકોના ટપોટપ મોત થયા છે. આથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એકસાથે ત્રણના મોત થતા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પરિવારોના રોકકળથી વાતાવરણ ગમગીન બની ગયું છે. નડિયાદના પોલીસ સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ, મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.


પાણી પૂરી વેચનારનું મોત
3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક એલસીબી, એસઓજી, ડીવાઇએસપી અને આબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે. 


પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી 
બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા કહી શકાય એમ છે. શંકાસ્પદ મૃતકોના નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે‌.


દારૂ પીધા બાદ તબિયત લથડતા 108માં ખસેડાયા
મૃતકના સંબંધીએ જણાવ્યું કે, મારો ભત્રીજો કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો. દરરોજ દારૂ પીવે છે, આજે સાંજે પીધો હશે એટલે તેની તબિયત લથડી હતી. અમને જેવી જાણ થઈ તેથી અમે ત્યાં પહોંચ્યા અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મેં અત્યારે જોયા અડધા કલાકમાં 3 વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.


અગાઉ લઠ્ઠકાંડમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા
2009ની સાલમાં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 140થી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા. જુલાઈ, 2022માં અમદાવાદ પાસે આવેલા બોટાદમાં 'કેમિકલ કાંડ' થયું અને 35થી વધુ લોકોની જિંદગીનો અંત આવી ગયો હતો. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની પૂરક હોય એમ બેફામ રીતે સિરપ વેચાતી હતી. ખેડા જિલ્લામાં સિરપ ડિસેમ્બર 2023ના અંતમાં પાંચ લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. જેમાં ત્રણ લોકો નડિયાદથી ચાર કિ.મી. દૂર આવેલા બિલોદરા ગામના જ વતની હતા. જ્યારે ચોથી વ્યક્તિ વડદલા અને પાંચમી વ્યક્તિ બગડુ ગામની હતી. માનવામાં આવે છે કે, પાંચેય જે સિરપનું સેવન કર્યું હતું એ આયુર્વેદિક હતી. પણ તેમાં ભેળસેળ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application