રાજકોટના એટલાન્ટીસ એપાર્ટમેન્ટે 2014થી ફાયર NOC જ રીન્યુ કરાવ્યું નથી, બેવાર નોટિસ મોકલી હતીઃ મનપાના અધિકારીએ ખોલ્યા રાઝ

  • March 15, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના દોઢ સો ફૂટ રિંગ રોડ પર ગઈકાલે ધૂળેટીના તહેવારના દિવસે જ એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આગ લાગી હતા. આ ઘટનામાં મનપાના ઇન્ચાર્જ CFO અશોકસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગ દ્વારા 2014 પછી ફાયર NOC રીન્યુ કરાવવામાં આવ્યું નથી. ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં નહોતી.

 
વધુમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા વર્ષ 2021 અને 2023માં એમ બેવાર ફાયર NOC રીન્યુ કરાવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. રેસિડેન્સ બિલ્ડીંગ હોવાથી સીલ કરવામાં આવ્યું નહોતું. નિયમ મુજબ ફાયર NOC ન હોય તો બિલ્ડિંગને સીલ માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રાજકોટ ફાયર વિભાગને આગ લાગવાનો કોલ 10.17 વાગ્યે મળ્યો હતો. જે બાદ ફાયરની ટીમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગમાં સ્મોક વધારે થઇ જતા કાચ તોડી સ્મોક બહાર કાઢવા કામગીરી કરવામાં આવી હતી. દોઢ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી.


એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો
આગજનીના આ બનાવમાં અજય મકવાણાનો મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇન્કાર કરી દીધો હતો. સવારે બનેલા બનાવમાં રાત્રે 8.30 વાગ્યાં આસપાસ અજયના પરિવારજનો અને તેમના સગા સંબંધી ઉપરાંત સામાજિક આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકત્ર થયા હતા. એસીપી સહિતના અધિકારીઓએ મૃતદેહ સંભાળવા પરિવારને સમજાવટ કરી હતી. પણ પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો. આ પછી રાત્રે 10 વાગ્યાં આસપાસ રાજકોટના સામાજિક - રાજકીય આગેવાનો લાખાભાઇ સાગઠીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, પરેશભાઈ સાગઠીયા, માવજીભાઈ રાખસિયા, અમૃતભાઈ રાઠોડ, રમેશભાઈ મૂછડિયા, જગદીશભાઈ સાગઠીયા, અનિલભાઈ મકવાણા, કરશનભાઇ રાઠોડ વગેરે દ્વારા મૃતક અજયના પરિવારને સમજાવી, પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી ખાત્રી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો. આગેવાનોએ પોતાની જહેમતથી રૂ.10 લાખનો ચેક મૃતકના પરિવારને સહાયરૂપે આપી સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવ્યું હતું.


બિલ્ડિંગમાં કોઇ ફસાયા તો નથી તે જાણવા માટે એસઓજીએ ડ્રોન ઉડાવી તપાસ કરી
એટલાન્ટીસ બિલ્ડીંગમાં આગ લાગી ત્યારે રેસ્ક્યુ ઑપરેશન કરી અનેક લોકોને બહાર કઢાયા હતા. આ સમયે એસઓજીની ટીમ દ્વારા એટલાટીન્સ બિલ્ડીંગ ખાતે પહોંચી પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલ. એસઓજી ટીમ દ્વારા બિલ્ડીંગ ખાતે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું અને વધુ કોઈ વ્યક્તિ બિલ્ડીંગમાં ફસાયેલ નથી ને? તેની તપાસ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application