યુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર

  • June 10, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના  છાયા ચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા એક યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યુ છે જેમાં હોસ્પિટલ દ્વારા પોલીસને એવુ જાહેર કર્યુ છે કે લીવરની બીમારીના કારણે આ યુવાનનું મોત થયુ છે તો બીજી બાજુ મૃતકની માતાએ અને પરિવારજનોએ આ બનાવને હત્યાનો ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા હતા જેથી ડબલ ડોકટરની પેનલ દ્વારાપી.એમ.ની કાર્યવાહી થઇ છે.
લીવરની બીમારીથી મોત
પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા રાકેશ કિશોરભાઇ વિઠલાણીના મના ૪૨ વર્ષના યુવાનને લીવરની બીમારી હોવાથી તેની સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયો હતો અને ત્યારબાદ બીમારીના કારણે તેનું મોત થયાનું હોસ્પિટલના તંત્રએ પોલીસમાં જાહેર કર્યુ છે.
પરિવારજનોનો આક્ષેપ
પોરબંદરની છાયાચોકી નજીક ભારતીય વિદ્યાલય વિસ્તારમાં રહેતા દક્ષાબેન કિશોરભાઇ વિઠલાણી નામના મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેનો પુત્ર રાકેશ કિશોરભાઇ વિઠલાણી ઉ.વ. ૪૨ કે જે અપરણીત હતો અને તે બપોરે  અઢી ત્રણ વાગ્યા આસપાસ તેના ઘર નજીક  તેના મિત્ર સાથે ઉભો હતો ત્યારે કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી અને બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા તે મારામારીમાં ફેરવાઇ ગયો હતો અને કચરાપેટી નજીક થયેલા ડખ્ખામાં રાકેશ વિઠલાણીને બેફામ માર માર્યો હતો તેથી તે નીચે કચરામાં પડી ગયો હતો અને શરીર ઉપર પણ કચરો ફેલાઇ ગયો હતો અને ખુબજ માર મારવાના લીધે તે બેભાન જેવો થઇ ગયો હતો આથી કોઇએ તેને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો જ્યારે માતા દક્ષાબેનને જાણ થઇ ત્યારે ઘરની  બહાર નીકળ્યા એ સમયે એ ઇસમે દક્ષાબેનને ‘તારા દીકરાને મે માર્યો છે. ત્રેવડ હોય તો ફરિયાદ કરજે’તેમ કહીને ધમકી પણ આપી હતી. પુત્રને માર મારવામાં આવ્યો હોવાની જાણ થતા દક્ષાબેન અને તેના અન્ય પરિવારજનો સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં ડોકટરોએ તેમને એવુ જણાવ્યુહતુ કે થોડા કલાકો પછી રાકેશ વિઠલાણી ભાનમાં આવી જશે આથી દક્ષાબેનના કહેવા મુજબ પુત્ર ભાનમાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો છે તેમ જણાવ્યુ હતુ પરંતુ ફરીથી તે બેભાન થઇ ગયો હતો અને સારવાર દરમ્યાન જ તેનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસને એવુ જણાવાયુ હતુ કે મૃતક રાકેશ કિશોરભાઇ વિઠલાણી ચાર ત્રણ ભાઇ અને એક બહેનમાં સૌથી મોટો હતો અને તેના લગ્ન થયા ન હતા. તે ટ્રક ડ્રાઇવીંગ કરતો હતો અને ૧૫ દિવસથી તેને પગમાં સોજા ચડવા સહિત બીમારી હોવાથી કામ ઉપર ગયો ન હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application