પોલીસ પર હુમલામાં ફરારકુખ્યાત માજીદ ઝડપાયો: ઉઠકબેઠક કરાવી માફી મગાવાઈ

  • March 17, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર પાસે હુડકો કવાર્ટર વિસ્તારમાં રહેતા નામચીન માજીદ ઉર્ફે ભાણુંએ સવા માસ પૂર્વે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીને પકડવા જતા ફરી એકવાર પોલીસ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. અંતે એસઓજીની ટીમ નામચીન માજીદ ઝડપી લઈ ભીસ્તીવાડમાં લઈ જઇ ઉઠક બેઠક કરાવી માફી મંગાવી તેના સીન વિંખી નાખ્યા હતા.


સવા માસ પૂર્વે રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેનના મકાન પર માજીદ અને તેના સાગરીતોએ સોડા બોટલોના ઘા કર્યા હતા જેની જાણ થતાં પ્ર.નગર પોલીસની ટીમ અહીં પહોંચી હતી આ સમયે કોન્સ્ટેબલ રિયાઝભાઈ સહિત બે પોલીસમેન સ્લમ ક્વાર્ટરમાં માજીદને પકડવા માટે ગયા હતા ત્યારે અહીં માજીદ તથા તેના સાગરીતોએ કોન્સ્ટેબલ સાથે મારકૂટ કરી તેમના વાહનોમાં તોડફોડ કરી તેમને અહીંથી ભગાડી મૂક્યા હતા.


હુમલાની આ ઘટના બાદ માજીદના સાગરીતો ઝડપાઈ ગયા હતા. પરંતુ કુખ્યાત માજીદ પોલીસને હાથ લાગ્યો ન હતો એક વખત પ્ર.નગર ની ટીમ તેને પકડવા પહોંચી ત્યારે ફરી એકવાર તેના પર હુમલો કર્યો હતો દરમિયાન એસ.ઓ.જી પી.આઈ એસ.એમ.જાડેજાને માજીદ હાલ જંગલેશ્વરમાં હોવાની માહિતી મળતા પીઆઇની રાહબરી હેઠળ પીએસઆઇ એન.વી. હરિયાણી તથા ટીમે અહીં પહોંચી કુખ્યાત આરોપી માજીદ રફીકભાઈ ભાણુંને ઝડપી લીધો હતો.


આરોપીને ભીસ્તીવાડમાં લઈ જઈ અહીં તેની પાસે ઉઠક બેઠક કરાવી જાહેરમાં માફી મંગાવી હતી. બાદમાં પ્ર.નગર પોલીસને સોંપી દેવાયો હતો. માજીદ સામે ગુજસીટોક પણ થઈ હોય આ ઘટના બાદ તે અમરેલી ભાગી ગયો હતો અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ચાર દિવસ પહેલા જંગલેશ્વર આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.ગુજસીટોકમાં આરોપી જામીન પર હોય તેની જામીન અરજી રદ કરવા પણ કાર્યવાહી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application