ગોંડલના લાપતા યુવાનનું મોત જુનાગઢની ખાનગી બસે હડફેટે લેતા થયાનું સ્પષ્ટ થયુ

  • March 15, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતાં પાઉભાજીના ધંધાર્થી રતનલાલ ચૌધરી(જાટ) નો પુત્ર રાજકુમાર જાટ (ઉ.વ.૨૪) તા. ૨/૩ના રાતે લાપતા થયા બાદ શોધખોળ પછી તા. ૬/૩ના રોજ તેના પિતા રતનલાલે ગોંડલ પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. એ દરમિયાન કુવાડવાના તરઘડીયા પાસે તા. ૪ના વહેલી સવારે એક યુવાન ઘાયલ મળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. હિટ એન્ડ રનમાં તેનુ મૃત્યુ થયાની શંકાએ ઓળખ મેળવવા તપાસ શરૂ થઈ હતી. એ દરમિયાન આ લાશ ગોંડલથી ગૂમ થયેલા રાજકુમાર જાટની હોવાનું તા. ૯/૩ના રોજ સ્પષ્ટ થયુ હતું. જે તે વખતે મૃતકના પિતા રતનલાલે આ બનાવ અકસ્માતનો નહિ હત્યાનો હોવાના આક્ષેપો કરી સતત રજૂઆતો કરી હતી. ગોંડલમાં પુર્વ ધારાસભ્યના ઘર પાસે તેની સાથે મારકુટ થયાના ગંભીર આક્ષેપો પણ થયા હતાં.


ચકચારી અને પોલીસ માટે પડકારરૂપ બની ગયેલી આ ઘટનાનો રાજકોટ શહેર એસઓજીએ ભેદ ઉકેલ્યો છે. આ ઘટના હિટ એન્ડ રનની જ હોવાનું ખુલતાં તેને ઠોકરે લઈ મોત નિપજાવી ભાગી ગયેલા જુનાગઢના ખાનગી બસના ડ્રાઇવર રાજેશ બીજલભાઈ મેર (ઉ.૬૧-૨હે. ખોડિયાર મંદિર પાસે હેમવન સોસાયટી જુનાગઢ)ની ધરપકડ કરી છે.


આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. એસઓજી, કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-૧ની ટીમો કામે લાગી હતી. ઘટના સ્થળથી લઇ બંને તરફ આસપાસના સ્થળોએ કુલ ૧૫૦ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાયા હતાં. હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ધાર્મિક જગ્યાએ તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ઘટના એક ડમ્પર ચાલક મળી આવ્યો હતો જેણે રાતે ૨:૩૩ કલાકે ડેડબોડી જોયાનું કહેતાં તેના આધારે આ સમય પહેલા અને પછી કેટલા વાહનો નીકળ્યા તેની તપાસ થતાં કાર, ડમ્પર, બસ સહિત ૧૨થી વધુ મોટા મળી કુલ ૪૬ વાહનો આ સ્થળેથી પસાર થયાની માહિતી મળી હતી.


એ દરમિયાન મહાસાગર ટ્રાવેલ્સની બસ નં. જીજે૧૪ઝેડ-૩૧૩૧ શંકાની દાયરામાં આવતાં એ બસ અંગે તપાસ કરતાં આગળના ગાર્ડ પર અકસ્માત સર્જાયો હોય તેવા ચિહ્નો મળી આવતાં આ બસના ચાલક રમેશ બીજલભાઈ મેર (ઉ.વ.૬૧-૨હે. જુનાગઢ) હોવાનું ખુલતાં તેને અને સાથે ક્લીનરને ઉઠાવી લઈ પુછતાછ કરાતાં પહેલા તો ડ્રાઈવરે રોજડું અથડાયાની વાત કરી હતી. બાદમાં સાચી હકિકત જણાવતા કહ્યું હતું કે, મૃતક યુવાન રોડની વચ્ચોવચ્ચ ચાલીને જતો હોઈ તે પોતાને ન દેખાતાં અકસ્માત સર્જાઈ ગયો હતો. આ વખત બસમાં ઉલાળો આવતાં મુસાફરો પણ જાગી જતાં બમ્પ હોવાનું જણાવી દેવાયુ હતું. આસપાસ બીજા વાહનો ન દેખાતાં અને પોતે ગભરાઈ ગયો હોઈ બસ ભગાવી મુકી આગળ જઈ ક્લીનરને અકસ્માતની વાત કરી હતી.


બાદમાં અમદાવાદ પહોંચી શેઠને ફોન કરી બસમાં રોઝડુ આવી ગયાની વાત કરી હતી. પોતે ગભરાઈ ગયો હોવાથી શેઠથી પણ સાચી વાત છુપાવી રાખી હતી. આ ઘટના મામલે કુવાડવા પોલીસમાં અગાઉથી જ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલક રાજેશ મેરની ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં એસઓજી પીઆઈ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઈ એન. વી. હરિયાણી, કુવાડવા પીઆઈ બી. પી. રજયા, એલસીબી ઝોન-૧ પીએસઆઈ બી. વી. ચુડાસમા, કુવાડવા પીએસઆઈ એમ. જે. વરૂ, જુનાગઢ એલસીબી પીએસઆઈ ડી. કે. ઝાલા, રાજકોટ એસઓજી એએસઆઈ ફિરોઝભાઈ શેખ, રાજેશભાઈ બાળા, કુવાડવા એએસઆઈ ખોડુભા જાડેજા, જુનાગઢ એલસીબી ટીમે આ કામગીરી કરી હતી.


૧૫૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી ચાલકનું પગેરૂ મેળવ્યું


આ ઘટનાને લઇ એસઓજી, કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-૧ની ટીમોએ તપાસનો ઘમધમાટ શરૂ કર્યો હતો. ઘટનસ્થળથી લઇ બંને તરફ આસપાસના સ્થળોએ કુલ ૧૫૦ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાયા હતાં. હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ધાર્મિક જગ્યાએ તપાસ કરાઈ હતી. કાર, ડમ્પર, બસ સહિત ૧૨થી વધુ મોટા મળી કુલ ૪૬ વાહનો આ સ્થળેથી પસાર થયાની માહિતી મળી હતી.બાદમાં પોલીસને પગેરૂ મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application