સુરતમાં ગટરમાં પડનાર બે વર્ષના બાળકની અંતિમયાત્રા નીકળી, માતા-પિતાનું હૈયાફાટ રૂદન, મનપાના અધિકાર-કર્મચારી સામે મનુષ્યવધનો ગુનો

  • February 07, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ.2) માતા સાથે ગત બુધવારે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોડ મૂકી હતી. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટોર્મ લાઈનમાં કેદાર ખાબક્યો હતો. જેનો મૃતદેહ બીજા દિવસે 24 કલાક બાદ મળ્યો હતો. આજે કેદારની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં માતા-પિતાના રૂદનથી વિસ્તાર શોકમય બની ગયો હતો. પિતાએ હાથમાં લઈ કેદારની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. 


વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો
બુધવારે કેદાર ગટરમાં પડ્યો ત્યારે ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટોર્મ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ન મળી આવ્યું નહોંતુ. ગઈકાલે  બીજા દિવસે ફાયર બ્રિગેડના 50 જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઊતર્યા હતાં અને શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પણ કેદાર ન મળતા અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી. 24 કલાકની મહેનત બાદ કેદારનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો.


દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો
વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાય ત્યાં સુધી પોસ્મોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ અમરોલી પોલીસે દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 


પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
પેનલ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ વિસેરાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈનમાં હોવાથી અન્ય કોઈ કારણ હોઈ શકે તો તેનો સેમ્પલના રિપોર્ટ બાદ જાણવા મળશે. હાલ તો પ્રાથમિક ડૂબી જવા અને શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.


ભારે હૈયે પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત બુધવારે સાંજના સાડા પાંચેક વાગ્યે હું કતારગામ ખાતે મારી કડીયાકામની મજૂરી કરવા ગયો હતો. ત્યારે મારી પત્ની વૈશાલીબેનનો મારા મોબાઈલમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હેવન એન્કલેવની બાજુમાં બુધવારી ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે. જેથી હું તરત જ કામ પરથી નીકળી ગયો અને આશરે પોણા છએક વાગ્યે હું હેવન એન્કલેવ પહોંચ્યો હતો. આ સમયે ત્યાં ફાયર બ્રિગેડના માણસો અને મારી પત્ની, મારી બહેન નીલાબેન દિનેશભાઈ જોગીયા સહિતના હાજર હતા અને માણસોનું ટોળું ભેગુ થઈ ગયું હતુ.


તપાસ કરતા બુટ મળ્યું પણ કેદાર ન મળ્યો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી પત્નીને બનાવ બાબતે પૂછતા મારી પત્નીએ મને જણાવ્યું હતું કે અમે અહી આગળ ખરીદી કરવા માટે આવ્યા હતાં. અહીં આગળ આઈસ્ક્રીમની સ્ટ્રો પાછળ ફેંકતા દીકરો તે લેવા માટે જતા ત્યાં ખુલ્લા ઢાંકણવાળી ગટરમાં પડી ગયો હતો. ત્યાં રાહદારીઓને બૂમ મારી બોલાવતા ત્યાં માર્કેટમાં કામ કરતા બે માણસો આવ્યા અને તેઓ ગટરમાં ઊતર્યા અને કેદારનું બુટ મળી આવ્યું, પરંતુ કેદાર મળી આવ્યો નહીં.


હું પણ ગટરમાં ઉતર્યો હતો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, હું પણ ગટરમાં ઉતર્યો હતો અને મેં પણ તપાસ કરી હતી. ફાયર બ્રિગેડના માણસો પણ ત્યાં ગટરમાં ઊતર્યા હતા અને તેઓએ પણ તપાસ કરતા મારો દીકરો મળી આવ્યો નહોતો. આ સમય દરમિયાનમાં પોલીસ અને 108 આવી ગઈ હતી. મારા દીકરા કેદારની તપાસ બીજા દિવસે પણ ચાલુ હતી. 6 ફેબ્રુઆરી સાંજના 4.50 વાગ્યા સુધી તપાસ કરતા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વરિયાવ ટી-પોઈન્ટ આગળ પમ્પિંગ સ્ટેશનના ગટરના કુવામાંથી મારો દીકરો કેદાર મળી આવ્યો હતો. તે કાદવવાળો બગડેલ હતો અને તેના કપડા પણ કાદવવાળા બગડેલ હતા અને તે બેભાન અવસ્થામાં હતો. જેથી તેને 108માં બેસાડી હું તથા મારો ભાઈ સંજય બન્ને જણા સ્મીમેર હોસ્પિટલ લાવ્યા હતા.


ગટર વિભાગની દેખરેખ રાખતા અધિકારી-કર્મચારીની બેદરકારી
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, કેદારને 108ના ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. મારા દીકરાનું મૃત્યું આ ગટર વિભાગની દેખરેખ રાખતા અધિકારી-કર્મચારીની બેદરકારીની લીધે ગટરનું ઢાંકણ ખુલ્લું રાખવાથી તેમાં મારો દીકરો પડી જવાથી મૃત્યુ થયું છે. જેથી મારી આ ગટર વિભાગના દેખરેખ રાખતા અધિકારી-કર્મચારી વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ નોંધાવી છે. તેમજ આ ઘટના બાદ મને જાણવા મળ્યું હતું કે, સ્થાનિકોએ આ ગટરનું ઢાંકણ બંધ કરવા માટે ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ બેદરકારી દાખવી ઢાંકણું બંધ કરવા આવ્યા નહીં. આ ગટરમાં પડવાથી કોઈ મૃત્યુ થઈ શકે તેવું જાણવા છતા ગટર બંધ કરી નથી. પિતાની ફરિયાદ આધારે અમરોલી પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application