બોલકા ધારાસભ્ય મોઢવાડીયાએ વિધાનસભામાં પૂછયા ૧૨૩ પ્રશ્ર્ન

  • March 25, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને બોલકા ધારાસભ્ય માનવામાં આવે છે અને ચાલુ વિધાનસભામાં તેમણે એકજ સત્રમાં ૧૨૩ જેટલા પ્રશ્ર્નો પૂછયા છે પરંતુ મહત્વની બાબત એ છે કે તેમણે પક્ષ પલ્ટો કર્યાબાદ હવે સરકારની વાહવાહી કરતા પ્રશ્ર્નો પૂછી રહ્યા છે. વિરોધપક્ષમાં હતા ત્યારે સરકારની પોલ ખોલતા હોય તેવા પ્રશ્ર્નો પૂછતા હતા પરંતુ પક્ષની જેમ તેમનો પણ રંગ બદલાઇ ગયો હોય તેવું જણાઇ રહ્યુ છે. 
હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. તા. ૧૯ ફેબ્રુઆરીથી શ‚ થયેલુ આ સત્ર ૨૮ માર્ચ સુધી ચાલવાનું છે. સત્ર દરમ્યાન પક્ષપલ્ટુ ધારાસભ્યમાં અગાઉની જેમ વિધાનસભામાં સવાલો પૂછવાની હિંમત પણ ઘટી જતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા બાદ પ્રશ્ર્ન પૂછવાની ધારાસભ્યની પધ્ધતિમાં પણ ફેરફાર થઇ જાય છે. સોરઠમાં ૧૦ ધારાસભ્યમાંથી સૌથી વધુ પ્રશ્ર્ન પૂછવામાં વિપક્ષ  કોંગ્રેસના એમ.એલ.એ. આગળ રહે છે, જ્યારે ભાજપના ધારાસભ્ય પ્રજાને સ્પર્શતા મહત્વના પ્રશ્ર્નોને બદલે સરકારની વાહવાહી કરતા પ્રશ્ર્ન પૂછી સંતોષ માની લે છે. ૧૦માંથી બે ધારાસભ્યએ તો એકપણ પ્રશ્ર્ન પૂછવાની હિંમત પણ નથી દાખવી.
જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લાની કુલ ૧૧ વિધાનભાની બેઠકોમાંથી વિસાવદરની એક બેઠક ખાલી છે તેને બાદ કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ વિધાનસભાની ચાર બેઠક ભાજપ પાસે છે. ગીર સોમનાથ જિલ્લાની ચારમાંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે. જ્યારે સોમનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમા ધારાસભ્ય છે. પોરબંદર જિલ્લાની બે બેઠકમાંથી કુતિયાણા વિધાનસભાની એક બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ચૂંટાયેલા  છે. પોરબંદરના ધારાસભ્ય  અર્જુનભાઇ મોઢવાડીયા અને માણવદરના  ધારાસભ્ય અરવિંદ લાડાણી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વિધાસનભાના સત્ર દરમ્યાન સરકારને પ્રશ્ર્ન પૂછવાનો મારો ચલાવતા હતા. સરકારની પોલ ખોલતા પ્રશ્ર્નો પૂછીને  સરકારને ભીસમાં લેવા સતત પ્રયત્ન કરતા હતા. હવે પ્રશ્ર્ન પૂછવાની પધ્ધતિ  અને પ્રશ્ર્ન પૂછવાની સંખ્યામાં પણ ઘટાડો થઇ ગયો છે. અર્જુન મોઢવાડીયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગત વિધાનસભાના એક જ સત્રમાં તમણે ૧૯૦ પ્રશ્ર્ન પૂછયા હતા. તેવી જ રીતે અરવિંદ લાડાણીએ ૧૬૧ પ્રશ્ર્નો પૂછયા હતા. આ વખતે ભાજપમાં આવી ગયા બાદ લાડાણીએ અત્યાર સુધીમા એક સત્રમાં માત્ર ૨૧ પ્રશ્ર્નો પૂછી સંતોષ માની લીધો છે જ્યારે  મોઢવાડીયાએ એક સત્રમાં ૧૨૩ પ્રશ્ર્નો પૂછયા છે. ત્રણેય જિલ્લાની કુલ ૧૦ બેઠકોમાંથી હાલના સત્રના અત્યાર સુધી સૌથી વધુ પ્રશ્ર્ન પૂછવામાં આવતા સોમનાથ બેઠકના કોંગે્રસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મોખરે રહ્યા છે.  કેશોદના ભાજપના ધારાસભ્ય દેવા માલમ અને કુતિયાણા બેઠકના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ અગાઉના કે હાલના સત્રમાં એકપણ  તારાંકિત પ્રશ્ર્ન પૂછયો નથી. જ્યારે એ સિવાયના ભાજપના તમામ ધારાસભ્યોએ સરકારની પોલ ખોલતા પ્રશ્ર્નો  પૂછવાને બદલે સરકારની વાહવાહી કરતા પ્રશ્ર્નો પૂછવા મજબૂર બનવુ પડતુ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  જૂનાગઢ, માંગરોળ,  માણાવદર, તાલાળા, પોરબંદર, ઉના, કોડીનારના ધારાસભ્ય વિવિધ યોજનામાં  કેટલી સરકારી સહાય મળી તેવા પ્રશ્ર્નો પૂછીને  સંતોષ માની રહ્યા છે. પક્ષપલ્ટુ ધારાસભ્ય જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સવાલો પૂછવામાં  પણ તેમનું વિપક્ષ તરીકેનું કામ ઉડીને આંખે વળગતુ હતુ.  જ્યારે ભાજપમાં આવી જાય યારે પ્રશ્ર્ન પૂછવામાં પણ કહેવાતો શિસ્તભંગ ન થાય તેનું ધ્યાન રાખવા મજબુર બની જાય છે. જો સરકારની વિ‚ધ્ધનો કે પોલ ખોલતો પ્રશ્ર્ન પૂછાય તો મોવડીમંડળનો ઠપકો પણ સાંભળવો પડતો હોય તેવું રાજકીય તજજ્ઞો કહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application