રાજસ્થાનના પોખરણ પાસે આવેલ રામદેવપીરના મંદિરે બીજ ભરવા માટે જઈ રહેલા રાજકોટના કૌટુંબિક ભાઈ અને મિત્રોને રાજસ્થાનના નાગાણા વિસ્તાર કવાસ ખાતે ઝીરો પોઈન્ટ ઓવરબ્રિજ નજીક અકસ્માત નડતા સ્કોર્પિયો ઓવરબ્રીજ પરથી ૧૦ ફૂટ નીચે ખાબકી હતી. જેમાં સ્કોર્પિયોમાં સવાર પાંચ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેમને તુરંત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતા સારવાર મળે તે પૂર્વે જ એક યુવાને દમ તોડી દીધો હતો.
મૃતક ભાજપ અગ્રણી બાલાભાઈ બોળિયાનો ભત્રીજો થાય
અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન રાજકોટ ભાજપ અગ્રણી, ભરવાડ સમાજના આગેવાન અને બિલ્ડર બાલાભાઈ બોળીયાનો ભત્રીજો રવિ જાગાભાઇ બોળીયા(ઉ.વ ૨૪) હતો. જ્યારે તેની સાથે રહેલા અન્ય યુવાનો તેના પિતરાઈ ભાઈ અને મિત્રો હોય તેઓને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં યુવાનનું મોત થતાં ભરવાડ સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પાંચેય પોખરણ પાસે આવેલ રામદેવપીર મંદિરે બીજ ભરવા જતા
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં સ્વામિનારાયણ ચોક પાસે રહેતો રવિ જગાભાઈ બોળીયા(ઉ.વ 24) તેના પિતરાઈ ભાઈ જયદીપ રતાભાઇ બોળીયા તથા મિત્ર વલી નીંબાભાઇ રબારી, જય કાંતિભાઈ પટેલ અને રાજ દિનેશભાઈ આહિર સહિતનાઓ રાજકોટથી સ્કોર્પિયો કાર નં. જીજે ૦૩ એન.પી ૮૩૬૨ લઇ રાજસ્થાનના પોખરણ પાસે આવેલ રામદેવપીર મંદિરે બીજ ભરવા અને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર થઈ હતી
દરમિયાન બુધવારે સવારના સમયે અહીં કવાસ ઝીરો પોઇન્ટ પર બાયતુ તરફથી આવી રહેલી ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર થઈ હતી. સ્કોર્પિયોની ગતિ વધુ હોવાથી ટક્કર બાદ ચાલકે કાબૂ ગુમાવી દેતા ચાર પાંચ વખત પલટી ખાય સ્કોર્પિયો ઓવરબ્રિજથી નીચે ખાબકી હતી. જેથી સ્કોર્પિયોમાં સવાર આ યુવાનો ફસાઈ ગયા હતા. ગામ લોકોએ તુરંત મદદ માટે દોડી જઇ યુવાનોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો
અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રવિ જગાભાઈ બોળીયા (ઉ.વ 24) ને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય યુવાનોને ઈજા પહોંચી હોય તેઓને રાજસ્થાનમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રવિનો મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો.
ભરવાડ સમાજમાં ગમગીની છવાઈ ગઈ
અકસ્માતમાં મોતની બેટનાર રવિ બોળીયા ત્રણ ભાઈના પરિવારમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે યુવાનના કાકા બાલાભાઈ બોળીયા ભાજપ અગ્રણી, ભરવાડ સમાજના આગેવાન છે અને વ્યવસાય તેઓ બિલ્ડર તથા પેટ્રોલ પંપ સંચાલક પણ છે. સમૂહ લગ્ન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ અગ્રેસર રહે છે. સામાજિક અગ્રણીના ભત્રીજાનું અકસ્માતમાં મોત થતાં ભરવાડ સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.
યુવકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગૂમાવી
રાજસ્થાન પાસે અકસ્માતની ઘટનામાં જેનું મોત થયું છે તે રવિ ત્રણ ભાઇના પરિવારમાં મોટો હતો. યુવાન સ્વામીનારાયણ ચોકમાં ખોડિયાર દુગ્ધાલય નામની દુકાન ધરાવતો હતો. યુવાનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech