પથ્થરની પડતર ખાણોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

  • March 17, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે અને દરિયાકિનારા નજીક નવા નવા પ્રવાસનસ્થળો બનાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે ત્યારે પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવી દેવાયેલ રતનપરની હદમાં ૨૦૦ વર્ષ કરતા જુની પથ્થરની પડતરખાણો આવેલી છે જે દીવની નાયડા ગુફાઓને ટકકર મારે તેવી છે તેથી તેને વિકસાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ નિર્ણય લીધો છે અને તે અંતર્ગત તેની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી. 
રાજ્ય સરકાર દ્વારા બીચ ટુરીઝમના વિકાસ માટે હકારાત્મક અભિગમ દાખવીને પોરબંદર જિલ્લાને દરિયાકાંઠા નજીક અનેક નવા પ્રવાસનધામોની ભેટ મળવા જઇ રહી છે જેમાં પોરબંદરથી માત્ર ચાર કિ.મી.ના અંતરે આવેલ રતનપર ગામના દરિયા કિનારાની સામે બસ સ્ટોપની પાછળ  અંદાજે બારથી પંદર જેટલી ૨૦૦ કરતા વધુ વર્ષ જુની પથ્થરની પડતર ખાણો આવેલી છે. રતનપરના પૂર્વ સરપંચ અને ભાજપના યુવા આગેવાન ભીમભાઇ ઓડેદરાએ ભૂતકાળમાં અગાઉ વારંવાર સરકારનું ધ્યાન દોરીને આ ખાણોને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવા માંગ કરી હતી. તે અનુસંધાને તાજેતરમાં જ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. 
પોરબંદર મનપાના મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિ સહિત નાયબ કમિશ્નર મનન ચતુર્વેદી,  ઉપરાંત પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર મનપાના વહીવટદાર એવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા, સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પથ્થરની પડતર ખાણની મુલાકાત લીધી હતી તે પૂર્વે  આ ખાણોની અંદરથી ઝાડી ઝાંખરા સહિત કચરાની સફાઇ કરાવી નાખવામાં આવી હતી. ગામના અગ્રણી ભીમભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે બે સૈકા કે તેથી પણ જુની ગણાવી શકાય તેવી આ ખાણો એકબીજા સાથે જોડાયેલી છે તેથી એકમાંથી બીજીમાં એ રીતે તમામ ખાણોમાં જઇ શકાય છે અને પોરબંદર-માધવપુર હાઇવેથી તદ્ન નજીક આવેલ હોવાથી આ ગુફાના વિકાસ માટે વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને પણ તે અંગે એક વ્યવસ્થિત રજૂઆત તૈયાર કરીને રાજ્યસરકારને મોકલી આપવા માંગ કરી હતી અને તેમાં જણાવાયુ હતુ કે આ પથ્થરની પડતર ગુફાઓનો વિકાસ કરવામાં આવે તો નવું એક પ્રવાસનસ્થળ પોરબંદરવાસીઓને જ નહીં પરંતુ બહારના પ્રવાસીઓને પણ આકર્ષી શકે તેવું બનાવી શકે તેમ છે તેથી તે અંગે અર્જુનભાઇ મોઢવાડીયાએ પણ રાજ્ય સરકારમાં ભલામણ કરી છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિએ પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યુ હતુ કે પોરબંદરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર ભરપૂર સહયોગ આપી રહી છે અને રતનપર નજીકની પથ્થરની આ પડતર ખાણોની મુલાકાત લેતા એવુ અનુભવાયુ છે કે આ સ્થળને પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેમ છે તેથી અહીંયા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ પ્રવાસનક્ષેત્રે લોકોને આકર્ષવા માટેની કેવા પ્રકારની સુવિધાઓ વધારવી તે અંગે ચર્ચાઓ સ્થળ મુલાકાત લઇને કરવામાં આવી હતી. દીવની નાયડા ગુફાઓને પણ ટકકર મારે તેવી આ ગુફાઓ છે. તેથી એક ગુફામાંથી બીજી ગુફામાં જઇ શકાય તેવુ છે. જે રીતે દીવની નાયડા ગુફામાં લાઇટીંગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ  કરાવવામાં આવી છે એ જ રીતે અહીંયાપણ એ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવે તો પ્રવાસીઓને ફોટોગ્રાફી, સેલ્ફી લઇ શકે  ઉપરાંત અત્યંત માનસિક શાંતિ મળે તે પ્રકારનું વાતાવરણ પણ ઉપલબ્ધ હોવાથી  ખૂબ સારી રીતે આ ગુફાઓને વિકસાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application