ગુજરાત સરકારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

  • April 17, 2025 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધાયુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીની રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરીત છે તેવી તેમજ પંચાયત ઘર વિહોણી હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં માતબર વધારો કર્યો છે.


એટલું જ નહીં, નવીન ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રી આવાસ પણ બનાવીને ગ્રામીણ સ્તરે તલાટીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનો પણ ગ્રામ્ય હિતકારી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદ્અનુસાર, રાજ્યમાં ૧૦ હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘર નિર્માણ માટે અગાઉ અપાતી ૨૭ લાખ રૂપિયાની યુનિટ કોસ્ટના સ્થાને રૂ. ૪૦ લાખની મહત્તમ મર્યાદા નિયત કરી છે. ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તીવાળા ગામોમાં આવા પંચાયત ઘરો બનાવવા માટેની મહત્તમ યુનિટ કોસ્ટ ૨૨ લાખના સ્થાને રૂ. ૩૪.૮૩ લાખ તેમજ ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામો માટે નવીન પંચાયત ઘર નિર્માણ માટે વધુમાં વધુ રૂપિયા ૧૭ લાખની સહાયના સ્થાને રૂપિયા ૨૫ લાખની સહાય રાજ્ય સરકાર આપશે.


મુખ્યમંત્રીએ રાજ્યના તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની પ્રવર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરીને રૂપિયા ૩ કરોડ ૧૦ લાખને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.


આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્ટમાં પણ વધારો કર્યો છે. જિલ્લા પંચાયતને તેના નવીન મકાનના નિર્માણ માટે ૩૮ કરોડ રૂપિયાને બદલે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે ગ્રામીણ સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સરળતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયો અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application