મનપાની બેદરકારીથી પાણીજન્ય રોગચાળો વકર્યો: કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી સહિત ૧,૪૪૯ કેસ

  • April 07, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હિટ વેવ વચ્ચે મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્ય વ્યાપી આદેશ હોવા છતાં રાજકોટ શહેરમાં આજ દિવસ સુધીમાં એક પણ વખત ઠંડા પીણાં, મિનરલ વોટર પ્લાન્ટ, આઇસ ફેકટરી, ચિચોડા, આઇસ ગોલા, કુલ્ફી કે આઇસ્ક્રીમ પાર્લર્સમા ચેકિંગ નહીં કરાતા શહેરમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી સહિતના વિવિધ રોગચાળાના ૧૪૪૯ કેસ નોંધાયા છે.

મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કમળાના ત્રણ કેસ, ટાઇફોઇડના ચાર કેસ, ઝાડા ઉલ્ટીના ૧૬૭ કેસ, તાવના ૬૬૩ કેસ અને શરદી ઉધરસના ૬૧૨ કેસ નોંધાયા છે. આ મુજબ ગત સોમવારથી આજ સુધીમાં કુલ ૧૪૪૯ કેસ નોંધાયા છે.

બીજીબાજુ ખાનગી તબીબી વર્તુળોના મતે તો રાજકોટ મહાપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકડા તો પાશેરામાં પુણી સમાન છે, મતલબ કે વાસ્તવિક રીતે શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ આથી દસ ગણા છે પરંતુ મહાપાલિકા તંત્ર મર્યાદિત હોસ્પિટલોમાંથી જ રોગચાળાની વિગતો મેળવી આંક જાહેર કરતી હોવાથી સાચા આંક ક્યારેય બહાર આવતા નથી. શહેરીજનોને પાણીજન્ય રોગચાળાથી સાવચેત રહેવા ખાનગી તબીબોએ અનુરોધ કર્યો છે.


દિશા વિહીન કામગીરી ! મચ્છર જન્ય રોગનો એક કેસ નથી છતાં તેનું ચેકિંગ

રાજકોટ શહેરમાં હાલ મચ્છરજન્ય રોગચાળાનો એક પણ કેસ નથી, ખુદ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુ, મેલેરિયા કે ચિકન ગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં મહાનગરપાલિકા તંત્ર દિશાવિહીન રીતે કામગીરી કરીને મચ્છર શોધવા નીકળ્યું છે. તાજેતરમાં બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ મળતા ૧૫૮ રહેણાંક સંકુલ અને ૬૮ કોર્મશીયલ યુનિટને નોટીસ અપાઇ હતી.


જનરલ બોર્ડ તો દૂર, રાજ્ય સરકારના આદેશની પણ સરેઆમ અવહેલના !

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યવ્યાપી આદેશ જારી કરીને હાલ ઉનાળાની ઋતુમાં ઠંડા પીણાં, મિનરલ વોટર પ્લાન્ટ, આઇસ ફેકટરી, શેરડીના રસના ચિચોડા, આઇસ ગોલા અને કુલ્ફીની દુકાનો, ઉત્પાદન કેન્દ્રો, આઈસ્ક્રીમ પાર્લર્સ સહિતના સ્થળોએ ચેકિંગ તેમજ સેમ્પલિંગ કરવા આદેશ કરાયો છે પરંતુ મસાલા બજારના વહીવટમાં વ્યસ્ત બનેલી આરોગ્ય શાખાને હાલ ગોલા-કુલ્ફી જેવા ચેકીંગમાં રસ રહ્યો નથી તેથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડ મિટિંગમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ આરોગ્ય શાખા સામે બેફામ બળાપો ઠાલવ્યો હતો છતાં તંત્ર હજુ સુધર્યું નથી. કદાચ સુધરી જવા માટે પણ સુચના મળે તેની રાહ જોતું હશે !?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application