વિસાવદર પાસે રેલવે ટ્રેક ઉપર બે સિંહ આંટા મારતા હતા ને ટ્રેન આવી પહોંચી

  • April 09, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે સવારે અમરેલી - વેરાવળ પેસેન્જર ટ્રેન વિસાવદરથી આગળ વધી રહી હતી ત્યારે થોડી દૂર ટ્રેક ઉપર બે સિંહ જોવામાં આવતા લોકો પાયલોટ સમય સૂચકતા વાપરી ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દેતા બંને સિંહનો બચાવ થયો હતો.

ભાવનગર રેલવે ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા મુજબ, તા.૭ એપ્રિલ સોમવારના રોજ સવારે અમરેલી વેરાવળ પેસેન્જર ટ્રેન નં.૫૨૯૪૬ વિસાવદર સતાધારથી આગળ વધી કાસિયાનેસ પહોંચે તે પહેલા આગળ ટ્રેક ઉપર બે સિંહ આંટા મારતા હોય લોકો પાયલોટ ચન્દન કુમાર (જૂનાગઢ) અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ રાઠોર કેતન (જૂનાગઢ)એ પેસેન્જર ટ્રેનને તરતજ ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવી હતી. આ બાબતે લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરતા વન વિભાગનો સંપર્ક કરવામાં આવતા, ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈએ બંને સિંહને ત્યાંથી દૂર મોકલી ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તમામ સ્થિતિ સલામત જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા આગળ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આમ,ભાવનગર ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાને કારણે વધુ બે સિંહોને ટ્રેનની હડફેટે આવતા બચાવી લેવામાં આવ્યા હતા. ભાવનગર રેલવે મંડળના નિર્દેશો મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ સાવધાની સાથે નિર્ધારિત ગતિનું પાલન કરી સિંહો બાબતે વિશેષ તકેદારીથી કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટ સ્ટાફ દ્વારા વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ગત નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં સિંહોના બચાવની આ પહેલી ઘટના છે. આ અંગે જાણ થતા ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application