સરધાર પાસે ગોઝારો અકસ્માત, બે કાર અથડાતા બંને અગનગોળો બની ગઈ, ત્રણ લોકો જીવતા ભૂંજાયા, દાઝેલા લોકોને રાજકોટ સિવિલ ખસેડાયા

  • April 19, 2025 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીક ભાવનગર હાઇવે પર સરધાર પાસે બે કાર અથડાઈ હતી. બાદમાં બંને કારમાં ભીષણ આગ ફાટી નીકળતા અગનગોળો બની ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકો ભડથું થતા ત્રણેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે ઘાયલ અને અન્ય દાઝી ગયા હોય તેવા લોકોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 


મળતી માહિતી પ્રમાણે રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર ગામ પાસે હોન્ડા સિટી અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બાદમાં બન્ને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી અંદર રહેલા લોકો બહાર નિકળી એ પહેલા બન્ને કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભૂંજાતા અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ઘાયલ અને દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 


ઘટનાસ્થળે લોકો દોડી ગયા

ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને બન્ને કારમાં લાગેલી આગને બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ દાઝેલા લોકોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. આ ગોઝારા અકસ્માતને લઈને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને અગનગોળો બનેલી બંને કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં આવે તે પહેલા જ બંન્ને કાર બળીને ખાક થઈ ગઈ છે. તેમજ સરધાર પોલીસ પણ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application