૪૦ લાખનું ૯૦ લાખ વ્યાજ વસૂલી વ્યાજખોરોએ જમીન વેચી નાંખી

  • April 15, 2025 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં રહેતા મૂળ જેતલસરના વતની આધેડે જેતપુર તાલુકા પોલીસ મથકમાં જેતપુર,રૂપાવટી અન કેશોદના શખસો મળી કુલ સાત શખસો સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.જેમાં વ્યાજની રકમ વસૂલવા વ્યાજખોરે તેમની જમની પણ વેચી દીધી હોવાનું જણાવ્યું હતું.


અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં બીમાનગર રોડ પર આઝાદ સોસાયટીમાં રહેતા વિકેશ પરસોત્તમભાઈ ભુવા (ઉ.વ 48) નામના આધેડે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના રૂપાવટીમાં રહેતા મગન ચોવટીયા, જેતપુરના નિલેશ દામજીભાઈ ટીલાળા, ભાવેશ દામજીભાઈ ટીલાળા, કેશોદના રામ લખમણભાઇ કેશવાલા, દેવશીભાઈ બારીયા, મહેશ જોશી, યશ મસરીભાઈ બારીયાના નામ આપ્યા છે.


વિકેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અમદાવાદમાં દીતી એન્જિનિયરિંગ નામની કંપની ચલાવે છે. તેના માતાપિતા જેતલસર રહે છે અને તે છેલ્લા 32 વર્ષથી અહીં અમદાવાદ રહે છે. વર્ષ 2015માં ધંધામાં મંદી આવતા 40 લાખ રૂપિયાની જરૂરિયાત હોય જેથી તેણે જેતપુરના રૂપાવટીમાં રહેતા મગન ચોવટીયા કે જે જમીન મકાન લે-વેચનું કામ કરતો હોય તેને તેના પિતાના નામની જેતલસર સર્વે નંબરમાં આવેલી જમીન વેચવા બાબતે વાત કરતા આ મગને કહ્યું હતું કે, તમારી જમીન પાસે બાયપાસ રોડ નીકળે છે જેથી તેનો ભાવ વધશે તમને હું શરાફી વ્યાજે રૂપિયા આપી દઈશ. પરંતુ તમારે જમીનનો જામીનગીરી પેટે દસ્તાવેજ કરી આપવો પડશે અને તમે જે રૂપિયા લો તેનું વ્યાજ દર મહિને ભરવાનું રહેશે જમીનનો દસ્તાવેજ થઈ ગયા બાદ પણ જમીનનો કબજો તમારી પાસે રહેશે અને તમે ખેતી કરી શકશો. મૂળ રકમ ચૂકવ્યા બાદ તમને પાછો દસ્તાવેજ કરી આપશે તેવી વાત કરી હતી.


ત્યારબાદ નિલેશ દામજીભાઈ ટીલાળા અને ભાવેશ ટીલાડા (રહે બંને. જેતપુરવાળા) પાસેથી રૂપિયા ૪૦ લાખ માસિક ત્રણ ટકા વ્યાજે મગન ચોવટીયા અપાવ્યા હતા અને જામીનગીરી પેટે જમીનનો દસ્તાવેજ તારીખ 21/1/2015 ના રોજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં કરી આપ્યો હતો. રૂપિયા 40 લાખનું ત્રણ ટકા લેખે માસિક રૂપિયા 1.20 લાખ વ્યાજ ફરિયાદી ચૂકવતા હતા. ચાર મહિના વ્યાજ ચૂકવ્યા બાદ ધંધામાં મંદી આવતા વ્યાજ ના ચૂકવી શકતા ફરિયાદીના જેતલસર સ્થિત ઘરે જઇ ભાવેશ ટીલાળાએ વ્યાજની રકમની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ પણ આ લોકો પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે તમે સમયસર વ્યાજ આપતા નથી એટલે પેનલ્ટીના રૂપિયા ૧૫ લાખ અને મૂળ રકમ રૂપિયા 40 લાખ મળી 55 લાખ આપવાના થાય છે અને હવે તમારે 5 ટકા લેખે રકમ ચૂકવવી પડશે તેમ કહી ધમકી આપી હતી. બાદમાં પઠાણી ઉઘરાણી કરી આ જમીન અડધા ભાવે વેચી નાખવાની ધમકી આપતા હતા અને 40 લાખ વ્યાજ તથા પેનલ્ટી અને મૂળ રકમ મળી 90 લાખની માંગણી કરતા હતા.


દરમિયાન આધેડની જાણ બહાર આ ત્રણેય શખસોએ તેમની જમીન નાથાભાઈ લાખાભાઈ માવાણી (રહે. જેતપુર) ને વેચી નાખી હતી અને કહ્યું હતું કે, જમીનના 67 લાખ આવ્યા છે હજુ 22 લાખ આપવાના છે તેવી વાત કરી હતી.


ત્યારબાદ અઘેડે આ 22 લાખ ચુકવવા માટે તેના મિત્ર વિઠ્ઠલ પીપળીયા (રહે. કેશોદ) ને ગમે ત્યાંથી રૂપિયા 30 લાખ અપાવવાની વાત કરતા તેણે કેશોદમાં રહેતા રામ લખમણભાઇ કેશવાળા, મસરી દેવશીભાઈ બારીયા અને મહેશ જોશીને વાત કરી હતી ત્યારબાદ તેમણે જમીન જોઈ રૂપિયા 30 લાખ 3 ટકા વ્યાજે આપ્યા હતા. જેમાંથી રૂપિયા 22 લાખ ફરિયાદીએ ભાવેશ ટીલાળાને ચૂકવી દીધા હતા અને આઠ લાખ પોતે રાખ્યા હતા. 30 લાખનું માસિક વ્યાજ પેટે 14 મહિનાનું વ્યાજ રૂપિયા ૪.૨૦ લાખ 2016/17 માં રોકડા આપ્યા હતા તેમજ 6, 00,000 રામ કેશવાલાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા ચાર લાખ રોકડ અને મૂળ રકમ પણ આપી દીધી હતી કોઈ રકમ બાકી ન હતી છતાં હજુ રૂપિયા 3 લાખની માંગણી કરે છે તેમજ રામ બારીયાના મૂળ રકમ 10 લાખ નું રૂપિયા 9.75 લાખ વ્યાજ ચૂકવ્યું છે તથા તેના દીકરા યશ બારીયાના એકાઉન્ટમાં 28.60 લાખ વ્યાજ ચૂકવ્યું છે તેમજ મહેશ જોશીના મૂળ રકમ 10 લાખ હતા અને તેના એકાઉન્ટમાં 17.55 લાખ ચૂકવ્યા છે તે બાદ પણ મહેશ બારીયાનો દીકરો યશ બારીયા મહેશ જોશી તથા રામ કેસવાલા ચારેય અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય અને ધાકધમકીઓ આપતા હોય અને જમીન બારોબાર વેચી દેવાની ધમકી આપતા હોય અંતે આધેડ આ ચાર સહિત સાત શખસો વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application