આત્મીયના ટર્મિનેટેડ પ્રોફેસર સામે ટીવી સ્વામીનો વસુલાતનો દાવો ફગાવી દેવાયો

  • April 01, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં યુનિવર્સિટીએ નિમણુક રદ કર્યાને પગલે આત્મીય કોલેજના એમ.બી.એ. પ્રોફેસર કોલેજ દ્વારા વસાવી દીધેલા રજવાડી ફર્નિચર તેમજ ઘરેલુ ઉપકરણો સાથે રાજકોટ છોડી જતા કોલેજના સંચાલક ટીવી સ્વામીએ પ્રોફેસર સામે સઘળી ચીજોની વસુલાતનો દાવો સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે. આ કેસની હકીક્ત મુજબ, સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી ત્યાગવલ્લભ સ્વામીએ રાજસ્થાનના નોરંતમલ એન. ખંડેલવાલને એમ.બી.એ. વિભાગમાં પ્રોફેસર તરીકે નિમણુંક આપી હતી અને તેની સાથે તેમના મકાનમાં જરૂરી ફેરફારો કરવા ઉપરાંત સાધન સગવડો તરીકે ટી.વી., એસી. ફીઝ, ડાઈનિંગ ટેબલ, સોફા, પલંગ, ગાદલા તેમજ ઓવન, ગ્રાઈન્ડર, મીકસ્ચર સહિતની તમામ વસ્તુઓ નવી ખરીદ કરી તેમના ઘરે પહોંચતી કરી હતી. પરંત નોરંતમલ એન. ખંડેલવાલની નિમણુંક નામંજુર થતા તેમને સેવામાંથી છુટા કરવામાં આવ્યા હતા. પરંતુ નોરંતમલ ખંડેલવાલ ઉપરોક્ત જીવન જરૂરી કરોડો તેમજ રજવાડી ફર્નિચર વગેરે પરત કર્યા વિના જ રાજકોટ છોડી જતા ત્યાગ વલ્લભસ્વામીએ રિકવરી ઓફ મનીનો સિવિલ દાવો રાજકોટની કોર્ટમાં કર્યો હતો.તેમાં સામાવાળા નૌરંતમલ એન. ખંડેલવાલ તરફે રહેલા એડવોકેટ દેવદત બી. મહેતાએ તેમની મૌખીક રજુઆતમાં જણાવેલ કે, વાદીએ પ્રતિવાદી પાસેથી લેણી રકમ વસુલ મેળવવા અંગેની દાદ માંગેલ છે. પરંતુ વસૂલ મેળવવા માટેની વસ્તુઓના બિલ રજૂ કર્યા નથી, તેમજ તેની ઉલટતપાસને વંચાણે લેવામાં આવે તો વાદી દ્વારા એ હકિક્તનો સ્વીકાર કરેલ છે કે નોરંતમલ એન. ખંડેલવાલને એપોઈન્ટમેન્ટ શરતોને આધીન નિમણુંક આપવામાં આવેલ છે, શરતો અંગેનો કોઈ જ લેખીત દસ્તાવેજ વાદી દ્વારા રજુ રાખવામાં આવેલ નથી. વધુમાં પ્રતિવાદી પ્રોફેસરની નિમણુંક અને ટર્મિનેશનની તારીખ બંને એકજ તા.૨૫/ ૧૦/ ૨૦૦૮ના રોજ દર્શાવેલ છે આ કેમ શક્ય બને ? તેમજ પ્રતિવાદી પ્રોફેસરને સને-૨૦૦૮ની સાલમાં નોકરીમાંથી છુટા કરવામાં આવેલ છે, હાલનો વસુલાતનો દાવો ર૦૧૪ માં દાખલ કરવામાં આવેલ છે અને તે સબંધે સમય મર્યાદાના કાયદા મુજબ આ દાવો સમય મર્યાદાની બહારનો હોય સ્પષ્ટ રીતે રદ થવાપાત્ર છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ રાજકોટના ૧૪મા એડિશનલ સિવિલ જ્જ એ. જે. સંઘવીએ ત્યાગવલ્લભ સ્વામીએ દાખલ કરેલ વસુલાત દાવો રદ કરતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં પ્રતિવાદી તરફે એડવોકેટ દેવદત બી. મહેતા તથા ભરત પી. નાગ્રેચા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application