અમદાવાદના વસ્ત્રાલમાં તાજેતરમાં બનેલી ઘટનાને પગલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને રાજ્યના તમામ એસપી હાજર રહ્યા હતા.
બેઠકમાં રાજ્યના પોલીસ વડાએ આગામી 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી છે. વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનાખોરીને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
પોલીસ વડાએ અધિકારીઓને તેમની સંબંધિત વિસ્તારોમાં સક્રિય ગુંડા તત્વોને ઓળખી તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ગુનાખોરીને નાથવાનો અને લોકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. પોલીસ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ગુંડા તત્વો સામે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે.
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધીક્ષકશ્રીને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMટોચના ગુજરાતી સહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન
March 15, 2025 10:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech