ઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની પૂણ્યતિથિએ સ્કૂટર રેલી

  • April 29, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ના છોડીયા હથીયાર અલ્લા લા બેલી...

અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ યુવા મંડળ દ્વારા કરાયું આયોજન 


ઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની આગામી ૭મી મેએ ૧૫૭મી પુણ્યતિથિની દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઊજવણી કરાશે. આ પ્રસંગે ક્રાંતિવીરને શ્રધ્ધાંજલિ પાઠવવા ઓખાથી ગ્રામીણ વિસ્તારોને સાંકળતી વિશાળ સ્કૂટર રેલી દ્વારકા સુધી યોજાશે. 



ઈ.સ.૧૮૫૭ થી ૧૮૬૮ સુધી ઓખામંડળના રાજવી લડવૈયા મુરૂભા માણેકની આગેવાની સાથે અંગ્રેજો સામે શુરવીરતા સાથે લડત આપી અંગ્રેજો માટે આ લડત લોઢાના ચણા ચાવવા સમાન બનાવી હતી. અંગ્રેજો સામે લડત આપતા ક્રાંતીવીર મુરૂભાએ તેમના સાથીઓ સાથે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના વાચ્છોળા ગામે તા.૭-૫-૧૮૬૮ ના સંધ્યાકાળે વીરગતિ પામ્યા હતા. 



જેમાં ક્રાંતિવીર મુરૂભા માણેક, જોધાભા માણેક, દેવુભા માણેક જેવા શુરવીરો વીરગતિ પામ્યા હોય દર વર્ષની જેમ આ વિસ્તારના ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલિ અર્પવા આગામી તા.૦૭-૦પ-ર૦રપ ના વિશાળ સ્કૂટર રેલીનું આયોજન અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજના યુવામંડળ દ્વારા કરાયું છે.



 આગામી તા.૦૭-૦૫-ર૦રપ ને બુધવારના રોજ ઓખા ખાતેથી સ્કૂટર રેલીનો પ્રારંભ કરાશે જે આરંભડા, સુરજકારડી, હાઈવે, ભીમરાણા, મોજપ, મકનપુર, વરવાળા, રૂક્ષ્મણી માતાજી મંદિર, સનાતન સેવા મંડળ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, ભદ્રકાલી ચોક, તીનબત્તી ચોક, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર ચોક સુધી યોજાશે. આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલિ પાઠવવા સમાજના યુવાનોને પારંપરિક વેશભૂષા સાથે રેલીમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application