પીએચડી પરીક્ષા અને ગાઈડ અંગેના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો બધાથી જુદા

  • February 26, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોમન યુનિવર્સિટી એક્ટ અને નવા સ્ટેચ્યુટના નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ ઘરની ધોરાજી ચલાવતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવેથી પીએચડી ની પરીક્ષા નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓમાં આવી પરીક્ષાઓ લેવાઈ રહી છે. કોલેજોમાં વર્ષોથી ગાઈડશીપ ધરાવતા અધ્યાપકોની ગાઈડશીપ રદ કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો છે. પરંતુ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં કોલેજના અધ્યાપકો પણ ગાઈડ તરીકે માન્ય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળે આ સંદર્ભે કુલપતિને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અનુદાનિત અને પ્રાઇવેટ મળીને લગભગ 300 જેટલી કોલેજો છે. આ કોલેજોના અધ્યાપકોને યુનિવર્સિટી દ્વારા અધ્યાપક તરીકે અને પીએચડી કરતાં વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે યુનિવર્સિટીની સ્થાપનાથી 2024- જૂન સુધી માન્યતા આપવામાં આવતી હતી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા છેલ્લા થોડા સમયથી યુનિવર્સિટીની કોલેજોને અને કોલેજોના અધ્યાપકોને અન્યાયકર્તા નિર્ણયો લેવાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે પછી પીએચડી ની પરીક્ષા નહીં લે તેવી જાહેરાત કરી છે પરંતુ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બે મહિના પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા આપી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા નહીં લેવાની વાતો કરે છે. શું ગુજરાતના શિક્ષણ મંત્રીએ આપેલી પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમોથી વિરુદ્ધ હતી. ?

અધ્યાપકો અને આચાર્યોનું પ્રતિનિધિત્વ યુનિવર્સિટીના સત્તા મંડળમાં ન આવે તે માટે છેલ્લા એક વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળો ખાસ કરીને એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અધ્યાપકો અને આચાર્યોની નિયુક્તિની પ્રક્રિયા કરવામાં આવતી નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજીટીઆર ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા છ મહિનાથી કોલેજના અધ્યાપકોને અનુસ્નાતક શિક્ષક એટલે કે પી જી ટીચર તરીકે માન્યતા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. જે અધ્યાપકો હાલમાં આવી માન્યતા ધરાવે છે તેમની માન્યતા ચાલુ રહેશે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જોડાયેલા નેટ, સ્લેટ, પીએચડીની ડીગ્રી ધરાવતા અધ્યાપકોને ભારે અન્યાયકર્તા આ નિર્ણય છે.

કોલેજના અધ્યાપકો પીએચડીના ગાઈડ નહીં બની શકે તેવો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે. આ નિર્ણયના કારણે ભવિષ્યમાં કોલેજનો કોઈ અધ્યાપક યુનિવર્સિટીના ભવનમાં પ્રોફેસર તરીકે અરજી કરી શકશે નહીં કારણકે અરજી કરવા માટેની લાયકાત છીનવી લેવામાં આવી છે. નવા જોડાયેલા અધ્યાપક સહાયકો અને પ્રાઇવેટ કોલેજમાં કામ કરતા અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દી આ નિર્ણયથી રૂંધાઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application