૭.૩૯ લાખનો મુદામાલ કબ્જે કરતી એલસીબી : દરજીએ મકાનની રેકી કરી ચોરીને અંજામ આપ્યો
જામજોધપુરના સમાણા ગામમાં બે મકાનને નિશાન બનાવીને લાખોના દાગીના અને રોકડની ચોરી થઇ હતી જેમાં એલસીબીએ એક શખ્સને પકડી ભેદ ઉકેલી નાખ્યો છે ગામમાં રહેતો દરજી ચાવી રાખવાની જગ્યા જોઇ લીધા બાદ જયારે કોઇ ન હોય ત્યારે રેકી કરીને તાળા ખોલી ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા ચોરીનો મુદામાલ સહિત ૭.૩૯ લાખની માલમત્તા કબ્જે કરવામાં આવી છે.
જામજોધપુરના સમાણા ગામમાં રહેતા ચિંતનભાઇ અજુડીયાના બંધ મકાનને કોઇએ નિશાન બનાવ્યુ હતું દરવાજાનું તાળુ ખોલી કબાટમાંથી ઘરેણા અને રોકડ મળી ૬.૧૯.૩૦૦નો મુદમાલ ચોરી કરી ગયા હતા, દોઢ મહીના પુર્વે પણ આ રીતે તેના મકાનમાં ચોરી થઇ હતી તેમજ ગત મહીનામાં સમાણા ગામમાં રહેતા મનિષાબેન ગોહિલના મકાનમાંથી દાગીના અને રોકડ મળી ૬૫ હજારની ચોરી થઇ હતી જે મામલે ફરીયાદ દાખલ થઇ હતી.
આ વણશોધાયેલ ગુનાની તપાસ એસપી પ્રેમસુખ ડેલુના આદેશથી એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટેલીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી, સ્ટાફ દ્વારા સીસી ફુટેજ અને સ્થળ વિઝીટ કરીને આ દિશામાં કાર્યવાહી આગળ ધપાવી હતી, પેટ્રોલીંગ દરમ્યાન એલસીબીના કિશોરભાઇ, અરજણભાઇ, ભરતભાઇને સંયુકત બાતમી મળેલ કે ઉપરોકત ઘરફોડ ચોરીમાં તૃષાંત ધામેચા નામનો શખ્સ સંડોવાયેલ છે અને હાલ લાલપુર બાયપાસ પાસે આવેલ પુલના રોડ પર ચોરીનો મુદામાલ લઇને જામનગર શહેરમાં દાગીના વેચવા માટે આવી રહયો છે.
તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ સમાણા રામ મંદિર પાસે રહેતા દરજીકામ કરતા તૃષાંત હસમુખ ધામેચા (ઉ.વ.૩૮) નામના શખ્સને પકડી પાડયો હતો, ચોરીમાં ગયેલ મુદામાલ જેમાં ૭ તોલા સોનાના દાગીના, ૧૮ ગ્રામ ચાંદીના દાગીના, ૧.૦૫ લાખની રોકડ, ૧ મોટર સાયકલ અને મોબાઇલ મળી કુલ ૭.૩૯.૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. અને આગળની તપાસ માટે શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.
દરજીએ દિવસના રેકી કરી હાથફેરો કર્યો...
સમાણા ગામમાં રહેતા દરજીકામ કરતા તૃષાંત ધામેચાને મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે, આરોપી ગામમાં રહેતો હોય અને દરજીકામ કરતો હોય જેથી ફરીયાદીના ઘરે કાપડ સહિતના કામ માટે અવાર નવાર જતો હતો તેમજ ઘરની અને કબાટની ચાવી રાખેલ જગ્યા જોયેલ હોય જેના કારણે દિવસ દરમ્યાન રહેણાંક મકાનની રેકી કરી અને દિવસમાં બંધ મકાનના ચાવીથી તાળા ખોલી અંદર ગેરકાયદે પ્રવેશી ચોરીને અંજામ આપ્યાનું તપાસમાં ખુલ્યુ છે.