પુનિતનગરમાં જમ્યા બાદ ઉલ્ટી થતા મહિલા ઢળી પડતા મોત, ગોંડલ કેરી વેચવા ગયેલા જંગલેશ્વરના આધેડને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતા દમ તોડ્યો

  • April 30, 2025 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાર્ટ એટેકથી મૃત્યુના વધુ બે બનાવો સામે આવ્યા છે. જેમાં પુનિતનગરમાં રહેતા 40 વર્ષીય મહિલા જમીને ઉભા થયા બાદ ઉલ્ટીઓ થતા બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજ્યું હતું જયારે જંગલેશ્વરમાં રહેતા આધેડ પરિવાર સાથે ગોંડલ કામધંધા માટે ગયા હોય ત્યાં ભાડાના રૂમમાં હતા ત્યારે બેભાન થઇ જતા મૃત્યુ થયું હતું.


મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં કાજલબેન નરેન્‍દ્રભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦) નામના મહિલા રાત્રીના ઘરે પતિ અને સંતાનો સાથે જમીને ઉભા થયા બાદ અચાનક ઉલ્ટી થઈ હતી અને બેભાન થઇ ઢળી પડતાં તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક કાજલબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ નરેન્‍દ્રભાઇ કારખાનામાં મજૂરી કામ કરે છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી હતી.


બીજા બનાવમાં જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતાં ભરતભાઇ ભીમજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૩) નામના આધેડ રાત્રીના નવેક વાગ્‍યે ગોંડલમાં પંચપીરની ધાર પાસે ભાડે રાખેલા મકાને હતાં ત્‍યારે ચક્કર આવતા બેભાન થઇ પડી જતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો હતો. મૃતક ભરતભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં બીજા નંબરે હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. પોતે ફ્રુટનો ધંધો કરતાં હતાં. કેરીની સીઝન હોવાથી પરિવાર સાથે ગોંડલ કેરી વેંચવા ગયા હતાં. અને ત્‍યાંજ પંચપીરની ધાર પાસે મકાન ભાડે રાખીને રહેતાં હતાં.બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application