રાજકોટ પોલીસે ફેરિયા બની વાસણ અને નાળિયેર વેચ્યા, 3 દિવસ વેશપલ્ટો કરી 11 વર્ષથી ફરાર હત્યાના આરોપીને તમિલનાડુમાંથી દબોચ્યો

  • March 17, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાંથી છેલ્લા 11 વર્ષથી ફરાર મર્ડરના આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 2014માં રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપી ગોવિંદ કાલુરામ ખાન 11 વર્ષથી ફરાર હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે 11 વર્ષ બાદ સતત ત્રણ દિવસ સુધી વાસણ વેચનાર, ફેરિયા, નાળિયેરના વેપારી બનીને વેસ્ટ પલ્ટો કર્યો અને આરોપીને દબોચી લીધો હતો. તમિલનાડુના તિરુનેલવેલીમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.


શું છે આખો બનાવ
વર્ષ 2014 માં 5 મી માર્ચે માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોવિંદ કાલુરામ ખાને એક વ્યક્તિની હત્યા નિપજાવી હતી અને બાદમા તે નાસી છૂટ્યો હતો. જે ગુનાનો ભેદ રાજકોટ પોલીસ અત્યાર સુધી ઉકેલી શકી ન હતી. જોકે તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોક્કસ બાતમીના આધારે તમિલનાડુ પહોંચી હતી અને વેશપલટો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલિસ વાસણ વેચનાર ફેરીયા અને નાળિયેરના વેપારી બન્યા હતા અને આરોપીનાં ઘરની આસપાસ 3 દિવસ સુધી રેકી કરી હતી. બાદમા આરોપીને દબોચીને તમિલનાડુ થી રાજકોટ લાવવામાં આવેલો છે અને આટલા વર્ષ સુધી કઈ જગ્યાએ છુપાયો હતો તેમજ તેની મદદગારી કરનારા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. હત્યારાએ હત્યા કરી તે સમયે તેની ઉંમર 34 વર્ષ હતી અને હાલ તે 45 વર્ષનો છે.


સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 11 વર્ષ પહેલા હત્યા થઈ હતી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા રાજકોટ શહેરમાં બનેલ ખુન, ખુનની કોશીષ તથા લુંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ દાખલ થયેલા હોય અને તે અનડીટેકટ ગુન્હાઓ તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા (વોન્ટેડ) આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના આપી હતી. જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ. આર. ગોંડલીયા સહિતની ટીમને ચોક્કસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં વિનિત એન્જીનીયરીંગ નામના કારખાના બહાર આજથી આશરે 11 વર્ષ પહેલા ગત તા.5 માર્ચ , 2014 ના રોજ મર્ડરનો બનાવ બન્યો હતો.


રાજકોટ પોલીસે બાતમીના આધારે તામિલનાડું પહોંચી
જે અનુસંધાને રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુન્હો દાખલ થયો હતો અને આ ગુન્હાને અંજામ આપનાર આરોપી ગોવિંદ ખાન બનાવ બાદ નાસી ગયો હતો અને આરોપી છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો. જે આરોપી હાલ તમીલનાડુ રાજયના તીરૂનેલવેલી ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા આરોપી બાબતે ઉપરોકત કાઈમ બ્રાન્ચ ટીમ તમીલનાડુ ખાતે તપાસમાં પહોંચી હતી. ટીમ દ્વારા 3 દિવસ સુધી આરોપીના રહેણાંક મકાન તેમજ કામવાળી જગ્યા આજુબાજુમાં વાસણ વેચનાર ફેરીયા તરીકે તેમજ નાળીયેરના વેપારીનો વેશપલટો કર્યો હતો. આ આરોપી બાબતે ચોકકસ હકિકત મેળવી ગુન્હાના વોન્ટેડ આરોપીને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સાથે જ આગળની કાર્યવાહી માટે માલવીયાનગર પોલીસ સ્ટેશનને આરોપી સોપવાની તજવીજ કરવામાં આવેલ છે.


આરોપી ગોવિંદ કાલુરામ ખાન (ઠકુરી), (ઉ.વ.45, ધંધો પ્રા. નોકરી, રહે. હાલ - 7 વસંતમ કોલોની, પહેલી શેરી, ગણેશ મંદીરની સામે, મહારાજ નગર, તીરુનેલવેલી, તમીલનાડુ) જેનુ મુળ વતન નેપાળના બેલૌરીનુ રામપુર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application