શું તમારે ઘરે બોર રિચાર્જ કરવો છે, એપાર્ટમેન્ટ્સ, સોસાયટીઓના કોમન પ્લોટમાં પણ બોર કરી અપાશે, જાણો સમગ્ર વિગત

  • May 29, 2025 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ જળ સંચયની કામગીરી માટે ગીરગંગા ટ્રસ્ટને કામ આપવા દરખાસ્ત કરી છે. કોઈ પણ એપાર્ટમેન્ટમાં અથવા તો સોસાયટીના કોમન પ્લોટમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે તેમજ બોર રિચાર્જ કરવા માટે કોન્ટ્રાકટ બેઝથી સંસ્થા કામ કરશે. આ કામગીરી માટે ૧૦ ટકા રકમ સોસાયટીએ ચુકવવાની રહેશે અને ૯૦ રકમ મહાપાલિકા ચૂકવશે.


મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીને કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગ માટે જનભાગીદારી યોજના માટે અગાઉ નીતિ-નિયમો મંજુર કરવામાં આવેલ છે. જે મંજુર થયેલ નીતિ- નિયમોનુસાર રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ થી ૧૮ માં જુદી જુદી જગ્યાએ રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે બોર તથા બોર રીચાર્જ સીસ્ટમ કરવાનાં કામે જીએસટી સહિત રૂ.બે કરોડનું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. 


એકમાત્ર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઓફર રજુ કરાઇ હતી

આ કામમાં રાજકોટ શહેરની જુદી જુદી જગ્યાએ બોર કરી તેને રીચાર્જ કરવાનાં કામનો સમાવેશ થાય છે. આ કામે રૂ.૧,૬૯,૪૮,૦૦૮ (જીએસટી સિવાય)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ કામે ઈ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવ્યા હતા જેમાં નિયત સમયમર્યાદામાં એકમાત્ર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઓફર રજુ કરાઇ હતી. જેથી પ્રથમ પ્રયત્નમાં સિંગલ ટેન્ડર આવે તો રી-ટેન્ડર કરવાની જોગવાઇ અનુસાર રી-ટેન્ડર કરવામાં આવ્યું હતું. 


પાંચ એજન્સીઓ તરફથી ઓફર રજુ થઇ હતી

બીજા પ્રયત્ને ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા જેમાં પાંચ એજન્સીઓ તરફથી ઓફર રજુ થઇ હતી. આ પાંચ એજન્સીમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને રૌદ્રા ટેક્નોક્રેટસ પ્રા.લિ.નું ટેન્ડર ક્વોલિફાઇ થયું હતું, અન્ય ત્રણ એજન્સી બજરંગ કન્સ્ટ્રકશન, રિલાયન્સ સેલ્સ કોર્પોરેશન અને રામેશ્વર ખાદી ગ્રામોદ્યોગ ડિસ્ક્વોલિફાઇ થઇ હતી. જ્યારે ક્વોલિફાઇ થયેલી બન્ને એજન્સીમાં રૌદ્રા ટેક્નોક્રેટસએ ૩.૩૦ ટકા ઓન ભાવથી ઓફર રજૂ કરી હતી. 


ગીર ગંગા ટ્રસ્ટને જીએસટીમાંથી મુક્તિ હોય ૧.૬૯ કરોડમાં કામ કરી આપશે

જ્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટએ ભાવોભાવ કામ કરવાની ઓફર રજૂ કરી હતી જે લોએસ્ટ વન હોય તેને કામ આપવા કમિશનરે સુચવ્યું છે. ખાસ કરીને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને જીએસટી માંથી મુક્તિ મળેલી હોય અને તે અંગેનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હોય ગીર ગંગા ટ્રસ્ટને જીએસટીની રકમ પણ ચૂકવવાની રહેશે નહીં. આ કામનું એસ્ટીમેટ ૧ કરોડ ૬૯ લાખ ૪૮ હજાર ૦૦૮નું હતું અને ૧૮ ટકા જીએસટી સહિત ૧.૯૯ કરોડ થાય પરંતુ ગીર ગંગા ટ્રસ્ટને જીએસટીમાંથી મુક્તિ હોય ૧.૬૯ કરોડમાં કામ કરી આપશે. આ દરખાસ્ત અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application