દક્ષિણ ગુજરાતમાં સવારથી જ માવઠાની સટાસટી: અંકલેશ્વરમાં બે કલાકમાં બે ઇંચ, 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો, વિસાવદરમાં અઢી ઈંચ

  • May 21, 2025 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 31 તાલુકામાં સામાન્ય ઝાપટાથી બે ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે પડી ગયા બાદ આજે ફરી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બે કલાકમાં બે ઇંચ અને સુરત જિલ્લાના ઉંમરપાડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં દોઢ, હાસોટમાં સવા, ભરુચ શહેરમાં અને સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.


બે કલાકમાં દક્ષિણ ગુજરાતના 22 તાલુકામાં વરસાદ શરૂ 

કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે સવારે 6 થી 8:00 વાગ્યા દરમિયાન બે કલાકમાં દક્ષિણ ગુજરાતના 22 તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સુરત જિલ્લાના બારડોલી માંડવી, કામરેજ, ચોર્યાસી, મહુધા, તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, ઉચ્છલ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડ, સાંગબારામાં સામાન્યથી જોરદાર વરસાદ પડ્યો છે અને હજુ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા છે.


વિસાવદરમાં 61 મિમિ વરસાદ નોંધાયો

દરમિયાનમાં આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, તેમાં વિસાવદરમાં 61 મિમિ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં નર્મદા જિલ્લાના સાગબારા તાપી જિલ્લાના કુકરમુંડા વાલોડ નિઝર ઉચ્છલ, પાટણ જિલ્લાના શંખેશ્વર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, સુરત જિલ્લાના બારડોલી મહુવા માંડવી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડ, અમદાવાદમાં માંડલ ભરૂચના વાલીયા ડાંગ જિલ્લાના આહવા વઘઈ સુબીરમા વરસાદ પડ્યો છે.


અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

ગરમી અને ઉકળાટ પછી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને ત્યાર પછી 24 કલાકમાં લો પ્રેશર સર્જાવાનું છે. તેની અસરના ભાગરૂપે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ તે પહેલા જ ગરમી અને ઉકળાટના કારણે પ્રિ મોનસુન એક્ટિવિટી જેવો વરસાદ પડી રહ્યો છે.



ગઈકાલે સાંજે ક્લાઉડ બર્સ્ટ એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવા સાથે ભારે પવન અને ત્યાં જ સાથે જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં બે ઇંચ અને ગોંડલ, જામકંડોરણા પંથકમાં દોઢી ઇંચ જ્યારે જેતપુર પંથકમાં એક ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચાં અને ડુંગળીના જથ્થાને નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં કુકાવા વડીયા પંથકમાં પોણા બે ઇંચ બગસરા અને લીલીયા પંથકમાં દોઢ ઇંચ જ્યારે અમરેલી શહેરને સાવરકુંડલા પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બોટાદના બરવાળા અને ગઢડા સ્વામીના પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઇંચ, સુરેન્દ્રનગરના દસાડા તેમજ ભાવનગરના ઉમરાળા અને ગારીયાધાર પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application