બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીના માર્કેટિંગ હેડની ધરપકડ

  • June 06, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પોલીસે ધરપકડ કરી છે. 4 જૂને બેંગ્લોરમાં આરસીબીની વિકટ્રી પરેડ પહેલા થયેલી ભાગદોડ કેસમાં પોલીસે કરેલી આ પહેલી ધરપકડ છે. જયારે અન્ય 3 લોકોની પણ કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નિખિલ સોસલે મુંબઈ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. બેંગ્લોરમાં આરસીબીની જીત પછી વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડ અને અરાજકતામાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણવા માટે નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા.

આ ધરપકડને આ કેસમાં મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અને તેનાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શંકર અને ખજાનચી જયરામ ફરાર છે. પોલીસ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. અગાઉ, આરસીબીએ ભાગદોડમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક તાજેતરમાં થયેલી ભાગદોડના કિસ્સામાં, જેમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી ), ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ (જે ઇવેન્ટની આયોજક કંપની હતી), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેસીએસએ) અને અન્ય અજાણ્યા લોકો સામે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ડીએનએના ત્રણ સ્ટાફ સભ્યો કિરણ, સુમંત અને સુનિલ મેથ્યુની પોલીસે અટકાયત કરી છે. હાલમાં, તેમની ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેષાદ્રિપુરમ એસીપી પ્રકાશ પૂછપરછ સંભાળી રહ્યા છે. કેસ સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.



સરકાર અને આરસીબી પર 100 કરોડ રૂપિયાનો દાવો કરવો જોઈએ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર યોજાયેલી વિજય પરેડ દરમિયાન 11 ચાહકોના મોત મામલે ક્રિકેટ જગતમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ ઘટના અંગે, 1983 ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આરસીબી અને રાજ્ય સરકાર પર કડક ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. લોકો આ ઘટના અને વિરાટ કોહલીને ક્યારેય ભૂલી શકશે નહીં. મારું માનવું છે કે આરસીબી અને રાજ્ય સરકારે આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ અને મૃતકોના પરિવારોને ન્યાય મળવો જોઈએ. જો જરૂરી હોય તો, તેમના પર ૧૦૦ કરોડ રૂપિયા સુધીનો દાવો કરવો જોઈએ. બીસીસીઆઈએ પણ આ ઘટનાથી હાથ ધોયા વિના અકસ્માતની જવાબદારી લેવી જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application