PM મોદી જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લઈ શકે છે, 1 માર્ચે રાત્રિ રોકાણ કરશે, તંત્ર દ્વારા તડામાર તૈયારી

  • February 27, 2025 06:12 PM 

શનિ-રવિ બે દિવસ ગુજરાત પ્રવાસ દરમ્યાન ગીર જતા પુર્વે જામનગરના સર્કીટ હાઉસમાં નરેન્દ્રભાઇ મોદીના રાત્રી રોકાણની પ્રબળ શકયતા : રિલાયન્સના વનતારામાં પણ કોઇ પ્રોજેકટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થવાના પણ બિન સત્તાવાર અહેવાલો : એરપોર્ટથી સર્કીટ હાઉસ સુધીના માર્ગ પર બંધાઇ રહી છે આડશો 


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિ-રવિ દરમ્યાન ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહયા છે ત્યારે જામનગરના સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે જેને લઇને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે જો કે વડાપ્રધાનના કાર્યક્રમની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, ગીરમાં વડાપ્રધાન જવાના છે, આ ઉપરાંત રિલાયન્સના વનતારામાં પણ મુલાકાત લઇને કોઇ પ્રોજેકટનું ઉદઘાટન કરશે એવી બિન સત્તાવાર વિગતો મળી રહી છે.


છેલ્લા બે-ત્રણ દિવસથી વડાપ્રધાનની ગુજરાત મુલાકાતની વિગતો સપાટી પર આવી રહી હતી, બિન સત્તાવાર રીતે એવુ જાણવા મળી રહયું છે કે તા. ૧ અને ૨, શનિ-રવિ બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહયા છે આ દરમ્યાન જ કોઇ એક દિવસ જામનગરના સરકીટ હાઉસ ખાતે  તા. ૧ની રાત્રે રોકાણ કરવાના છે.


વડાપ્રધાનના આગમનને લઇને પ્રોટોકોલ મુજબ તૈયારીઓ પણ થતી દેખાઇ છે, તાડબતોબ રંગરોગાન થઇ રહયા છે, સરકીટ હાઉસમાં આડસો બંધાઇ રહી છે, કપડા લગાડવામાં આવી રહયા છે, લાઇટીંગનું કામ કરાવવામાં આવી રહયું છે, જો કે વડાપ્રધાનના કાર્યક્રમને લઇને કોઇ વિગતો હાલ જાહેર કરાઇ નથી.


તા. ૨ના રોજ વડાપ્રધાનની હાજરીમાં ગીરમાં કાર્યક્રમ યોજાવાનો છે અને તેન માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, બીજી બાજુ વડાપ્રધાન જામનગરના સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરવાના હોવાથી વહિવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા પણ સ્વાભાવીક રીતે તૈયારીઓ કરવામાં આવી રહી હશે, જો કે હંમેશની જેમ સુરક્ષાના અનુસંધાને વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હાલ જાહેર કરવામાં આવ્યો નથી.


સુત્રો એવું જણાવી રહયા છે કે વડાપ્રધાન એરફોર્સ ખાતે ઉત્તરાણ કરશે અને ત્યાથી મોટર માર્ગે સરકીટ હાઉસ પહોચવાના છે એટલા માટે જ દિગ્જામ સર્કલથી લઇને સરકીટ હાઉસ તરફના માર્ગ પર આડસો પણ બાંધવામાં આવી રહી છે. 


વડાપ્રધાન તા. ૧ના રોજ જામનગરના સરકીટ હાઉસમાં જો રાત્રી રોકાણ કરશે જ તો તે પુર્વે વડાપ્રધાનની સિકયુરીટી દ્વારા પણ તમામ પ્રકારની ખરાઇ કરવામાં આવશે અને બની શકે કે કદાચ મુલાકાતના બે દિવસ પહેલા આખા વિસ્તારને કોર્ડન પણ કરી લેવામાં આવે.


આ પહેલા જયારે વડાપ્રધાને જામનગરમાં રાત્રી રોકાણ કર્યુ હતું, લાલ બંગલા સર્કલ, પી.એન. માર્ગ અને સરકીટ હાઉસ ફરતેના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા તો બની શકે કે કદાચ આ વખતે પણ માર્ગો બંધ થઇ શકે છે, આજ બપોરના ૧૨-૩૦ કલાક સુધી વહિવટી તંત્ર દ્વારા જો કે આ અંગેની કોઇ વિગતો  જાહેર કરાઇ નથી અને માર્ગ બંધ થશે કે કેમ તે પણ હવે પછીના કલાકો બાદ નકકી થશે.


સુત્રોમાથી એવી પણ વિગતો મળી રહી છે કે તા. ૧ના રોજ અહીં રાત્રી રોકાણ કર્યા બાદ વડાપ્રધાનનો કાફલો રિલાયન્સના વનતારા ખાતે પણ જશે જયાં કોઇ ગેસ પ્લાન્ટનું ઉદઘાટન એમના હસ્તે કરવામાં આવે એવી વાતો આવી રહી છે જો કે તેને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
​​​​​​​
બીજી તરફ આજ બપોર સુધી સ્થાનીક ભાજપના વર્તુળોને પણ વડાપ્રધાનની મુલાકાત અને રાત્રી રોકાણ સબંધે હાલ કોઇ વિગતો આપવામાં આવી નથી, જો વડાપ્રધાન રાત્રી રોકાણ અહીં કરે અને અહીંના વિમાની મથકે ઉતરે તો સ્વાભાવીક રીતે પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે સ્થાનીક ભાજપના નિશ્ર્વિત આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી એમને પણ કોઇ વિગતો મળી નથી, વડાપ્રધાનની આ મુલાકાતને લઇને સ્થાનીક ભાજપમાં પણ થનગનાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News