અમરગઢની બહેનો દ્વારા બનાવવામાં આવતી મોતીકલાની કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્રબિંદુ

  • April 16, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના અમરગઢ ગામની બહેનોની મોતીની કલા બેનમુન છે અને તેના દ્વારા તેઓ વર્ષે ૧૨ લાખ ‚પિયા જેવી કમાણી પણ કરી રહી છે.
કાઠીયાવાડને આજે પણ મોતીકળાનું હબ માનવામાં આવે છે. માધવપુરના મેળામાં વિવિધ કલાનો સંગમ હતો.માધવપુરનો મેળો ખરાઅર્થમાં કલાનો સંવર્ધક રહ્યો હતો.માધવપુરના મેળામાં પોરબંદર જિલ્લાના  અમરગઢની મહિલા મંડળ દ્વારા એકથી એક ચડિયાતા અને સૌ કોઈને એક વખત વિચારતા કરી મુકે તે પ્રકારે કાચના મોતીથી વિવિધ શોપીસ અને મહિલાઓ માટેના અલંકારો રજુ કરવામાં આવ્યા હતા.આ અલંકારો અને શોપીસ જોઈને સ્વયં મહિલાઓ પણ અવાચક બની ગઈ હતી.કાઠીયાવાડ અનેક પરંપરા માટે જાણીતું છે.કાઠીયાવાડ ભગવાનને પણ મહેમાનગતિ કરવાનું ગૌરવ મેળવે છે.કાઠીયાવાડની આ ઉપલબ્ધિ તેની પરંપરા સાથે જોડાયેલા પ્રસંગોને ઉજાગર કરીને નવી પેઢીમાં જૂની પરંપરા પ્રસ્થાપિત થાય અને સંસ્કાર અને સંસ્કૃતિ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.સંસ્કૃતિ આગળ વધારવાનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે કાઠીયાવાડની મોતી કળા થકી આજે આધુનિક યુગમાં પણ અનેક મહિલા કારીગરો અને મહિલા મંડળો મોતીમાંથી બનેલા શોપીસ અને મહિલાઓ માટેના આભુષણો બનાવી ન માત્ર રોજગારી મેળવી રહી છે પરંતુ કેટલીક બહેનોને રોજગારી આપવાનું કામ પણ આ મોતી કળા કરી રહ્યું છે.મોતીકળા કચ્છ અને કાઠીયાવાડની આગવી ઓળખ અને પરંપરા પણ બની ચુકી છે.કાચના મોતીને વિવિધ કલર અને આકારમાં આપીને તેમાંથી ખુબ જ સુંદર શોપીસ અને ઘરેણા બનાવવામાં આવે છે,જે કોઈપણ પ્રસંગમાં ચાર ચાંદ લગાવી આપે છે.કાચના મોતીમાંથી બનેલા શોપીસ અને ઘરેણા અતિ પ્રાચીન ગુજરાતની હસ્તકલાઓ પૈકી એક કલા તરીકે આજે પણ અસ્તિત્વ ધરાવે છે,જે આજે પણ લગ્નપ્રસંગ કે અન્ય શુભ પ્રસંગોમાં મોતીથી બનેલા શોપીસ અને આભુષણો આપવાની પરંપરા જોવા મળે છે.કાચના મોતીમાંથી દાગીના હાર,મોતીના કડા, મોતીના પેન્ડન્ટ, મોતીની બંગડી અને પાયલની સાથે ઝુમખા અને ગળામાં પહેરવાના હાર પણ ખુબ જ કલાત્મક રીતે બની રહ્યા છે.આ સિવાય ટોડલા, તોરણ, બાજોઠ, કળશ ભગવાનના પુજાપાની થાળી સહિત અનેક ચીજવસ્તુઓ રંગબેરંગી મોતીથી બનાવીને તેને એક અલગ આકારની સાથે કોઈપણ વ્યક્તિને પ્રથમ નજરે જ ગમી જાય તે પ્રકારે બનાવવાની કળા કાઠીયાવાડની મહિલાઓમાં આજે પણ જોવા મળે છે.
અમરગઢના પારૂલબેન છેલ્લા ૧૫ વર્ષથી કાચના મોતી કળા સાથે સંકળાયેલા છે.તેમના દ્વારા એક મહિલા મંડળ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ૧૧ જેટલી બહેનો આ પ્રકારે કાચના મોતી કામને લગતી સુશોભનની આઈટમ અને મહિલાઓ માટેના આભુષણ બનાવીને પ્રતિ વર્ષ ૧૨ થી ૧૩ લાખ ‚પિયાની કમાણી કરી લે છે.
આ સિવાય બહેનોના સખી મંડળ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી ૫૦ થી ૭૦ જેટલા કારીગરો પણ રોકવામાં આવ્યા છે, જે તમામ પ્રતિ મહિને પાંચથી સાત હજાર કરતાં વધારેનું કામ મોતીથી બનેલા સુશોભનના શોપીસ અને મહિલાઓ માટેના આભૂષણ બનાવીને રોજગારી પણ મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના સખી મંડળો અને મહિલા મંડળ દ્વારા આવી પરંપરાગત ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે જે અનેક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application