'ભારત 24થી 36 કલાકમાં હુમલો કરશે...' પાકિસ્તાની મંત્રીએ અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરતા પાકિસ્તાનીઓની ઊંઘ હરામ

  • April 30, 2025 09:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે, પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડીરાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે, અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે, જે દર્શાવે છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે.


આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પીએમ મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનાને ખોટા બહાના તરીકે ઉપયોગ કરીને આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે.​​​​​​​


તરારે ચેતવણી આપી

તરારે ચેતવણી આપતા કહ્યું કે, કોઈપણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને આ કટોકટીના દુ:ખને ખરેખર સમજે છે. આપણે હંમેશા દુનિયામાં આની નિંદા કરી છે. તરારે કહ્યું કે પાકિસ્તાને સત્ય બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની પૂરા દિલથી ઓફર કરી છે. પાકિસ્તાની મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિની ગંભીરતાને ઓળખવા પણ વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ કિંમતે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવાના અમારા સંકલ્પને પુનરાવર્તિત કરીએ છીએ.


પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું- અમે હાઈ એલર્ટ પર છીએ

રોઇટર્સના અહેવાલ મુજબ, અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાન હાઇ એલર્ટ પર છે પરંતુ તે તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે દેશના અસ્તિત્વ માટે સીધો ખતરો હશે.


ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ થયેલી આતંકવાદી ઘટના બાદ 24 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત પહેલગામ હત્યાકાંડમાં સામેલ દરેક આતંકવાદી અને તેમના સમર્થકોને ઓળખશે, શોધી કાઢશે અને સજા આપશે અને વિશ્વના ખૂણે ખૂણે હત્યારાઓનો પીછો કરશે. આ સાથે, ભારતે પાકિસ્તાન સામે રાજદ્વારી હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. ભારતે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા છે અને સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે, અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application