મ્યુનિ.કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો આક્ષેપ

  • May 20, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગ રાબેતા મુજબ શાસક-વિપક્ષની બેફામ આક્ષેપબાજી વચ્ચે એક કલાકમાં પૂર્ણ થઇ હતી. ચાલુ મિટિંગ અંતર્ગત કોંગી નેતા વશરામ સાગઠિયા મેયરને આવેદનપત્ર આપવા માટે વેલ સુધી ધસી ગયા હતા. આ વેળાએ વશરામ સાગઠિયાને આવેદનપત્ર આપતા અટકાવતા તેમજ મેયરએ આવેદનપત્ર સ્વીકારવા ઇનકાર કરતા સાગઠિયાને પોતાની બેન્ચ ઉપર પરત જવા ફરજ પડી હતી. આ દરમિયાન પ્રશ્નકાળના પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર રસિલાબેન સાકરિયાએ પુછેલા રાજકોટને સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળી ? તે અંગેના પ્રશ્નનો મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા લંબાણપૂર્વક તલસ્પર્શી જવાબ આપી રહ્યા હોય કોંગી નેતા સાગઠિયા રોષે ભરાયા હતા અને મ્યુનિસિપલ કમિશનર ભાજપના માણસ છે ! તેવો ખુલો આક્ષેપ કરતા ઉપસ્થિતોમાં ખળભળાટ મચી ગયો હતો.

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે વંદે માતરમ ગાન બાદ સભાની કાર્યવાહી શરૂ થઇ હતી અને ભાજપના ૧૩ કોર્પોરેટરના રજા રિપોર્ટ આવ્યાનુ સેક્રેટરીએ જાહેર કર્યું હતું, જ્યારે અન્ય બે કોર્પોરેટર રજા રિપોર્ટ મુક્યા વિના ગેરહાજર રહ્યા હતા. આ મુજબ કુલ ૭૨માંથી ૧૫ કોર્પોરેટર આજની બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા.

પ્રશ્નકાળના પ્રારંભે પ્રથમક્રમે ભાજપના કોર્પોરેટર રસિલાબેન સાકરિયાનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો જેમાં તેમણે રાજકોટ મહાપાલિકાને છેલ્લા એક વર્ષમાં સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી અને તેમાંથી કયા વિકાસકામો કરાયા તેની વિગતો માંગી હતી, આ સવાલના પ્રત્યુત્તરમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રાજકોટને રાજ્ય સરકાર તરફથી ૯૩૬.૩૧ કરોડ અને કેન્દ્ર સરકાર તરફથી ૨૯૧.૩૨ કરોડની ગ્રાન્ટ અપાઇ હતી. ત્યારબાદ તેમાંથી હાથ ધરાયેલા વિકાસકામોની વિસ્તૃત વિગતો આપવાનું શરૂ કરતાં લગભગ ૪૫ મિનિટ સુધી કમિશનરે જવાબ આપ્યો હતો જેથી પોતાનો પ્રશ્ન ચર્ચામાં નહીં આવે તેવું પામી ગયેલા વિપક્ષી કોર્પોરેટરો રોષે ભરાયા હતા અને કોંગી નેતા વશરામ સાગઠિયાએ તો આક્રોશમાં એવો આક્ષેપ કરી નાખ્યો હતો કે મ્યુનિ.કમિશનર ભાજપના માણસ છે..!

પ્રશ્નકાળમાં પ્રથમ પ્રશ્નની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન વિપક્ષના વશરામ સાગઠિયા સતત વચ્ચે બોલી રહ્યા હોય ધારાસભ્ય કમ કોર્પોરેટર ડો.દર્શિતા શાહ આક્રમક બન્યા હતા અને પ્રશ્નની ચર્ચા ચાલુ હોય ત્યારે વચ્ચે ખલેલ પહોંચાડીને બોર્ડની ગરિમાનો ભંગ કરવા બદલ વિપક્ષ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત પુષ્કર પટેલ, શાસક પક્ષના દંડક મનિષ રાડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર કીર્તિબા રાણા સહિતના શાસક પક્ષના કોર્પોરેટરોએ સતત વિપક્ષના આક્ષેપોનો જવાબ આપી પ્રથમ પ્રશ્નની જ ચર્ચા ચાલુ રહે તે માટે પ્રયાસો કર્યા હતા.

જ્યારે પોતાના પ્રશ્નો ચર્ચામાં નહીં આવે તેમજ વચ્ચે બોલવાની તક નહીં મળે તેમ જણાતા વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયા, કોમલબેન ભારાઈ, મકબુલ દાઉદાણી વિગેરે દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરાવો, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારોને ન્યાય આપો સહિતના પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. અલબત્ત સભાગૃહમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા પ્રતિબંધિત હોય મેયરના આદેશથી માર્શલએ પ્લેકાર્ડ જપ્ત કર્યા હતા.

શાસક વિપક્ષ વચ્ચે એક કલાકની આક્ષેપબાજીમાં પંચાવન મિનિટનો પ્રશ્નકાળ પૂર્ણ થયો હતો અને છેલ્લી પાંચ મિનિટ બાકી હતી ત્યારે એજન્ડામાં રહેલી દરખાસ્તો ઉપર કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં રહેલી તમામ ૧૧ દરખાસ્તો મંજુર કરાઇ હતી. તદઉપરાંત નામકરણની ત્રણ અરજન્ટ બિઝનેસ મંજુર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application