મહામના એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનને યાત્રાધામ ડાકોર સ્ટોપની રજૂઆત

  • May 29, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલ તંત્ર દ્વારા ઉતારુલક્ષી સુવિધાઓનો દિનબદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ઈન્દોર મહામના એક્સપ્રેસને ડાકોર, કોલકતાથી આવતી ટ્રેનોને વાંકાનેર અને ભાવનગર - ઓખા ટ્રેનને મુળી રોડ વગેરે સ્ટેશનોએ સ્ટોપેજ આપી યાત્રાલક્ષી સુવિધા શરૂ કરવાની ડીઆરયુસીસી મેમ્બર પ્રવીણભાઈ બી. ત્રિવેદીએ રેલ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે.

જેમાં તીર્થધામ સોમનાથ વેરાવળ- ઇન્દોર- વેરાવળની નં. ૧૯૩૧૯-૨૦ મહામના એક્સપ્રેસ ટ્રેનને આણંદ ગોધરા વચ્ચેના ડાકોર સ્ટેશનનો સ્ટોપ આપવામાં આવે તો મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રના યાત્રિકોને રણછોડરાયજીના દર્શનની સીધી ટ્રેનની મહત્વપૂર્ણ સુવિધા પ્રાપ્ત થાય તેમ છે. ડાકોરજીનું મહત્વ દ્વારકાજી કરતા ઓછું નથી, દંતકથા અનુસાર ડાકોરજીમાં રણછોડાયજીની મૂર્તિ દ્વારકાજીની મૂળ મૂર્તિ છે, તેથી ડાકોરજી તીર્થસ્થાન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને સૌરાષ્ટ્ર વિભાગથી ડાકોરની કોઈ રેલ્વે સેવા ન હોવાથી, મહામના એક્સપ્રેસને સત્તાવાર રીતે બે મિનિટ પણ રોકવામાં આવે તો ડાકોરજીના ભક્તોની સેવા થઈ શકે છે.

આ બાબતે સૌરાષ્ટ્રના લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ પણ રેલ મંત્રાલયમાં સંયુક્ત રજૂઆત કરવી જોઈએ.

આ ઉપરાંત કોલકાતાથી આવતી ત્રણ ટ્રેનો નંબર 12906 શાલીમાર- પોરબંદર, નં. 22906 શાલીમાર- ઓખા અને નં. 12950 શાંત્રાગાચી- પોરબંદર કવિ ગુરુ એક્સપ્રેસ ત્રણે ટ્રેનોને સિરામિક સિટી વાંકાનેર રેલવે સ્ટેશન પર સ્ટોપ નહિ હોવાને કારણે વાંકાનેર મોરબી પંથકના ઉતારૂઓ અન્યાય થઈ રહ્યો હોવાનું લાગણી અનુભવી રહ્યા છે. આ ત્રણે ટ્રેનો કોલકત્તા જાય છે ત્યારે વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ છે, ત્યારે આ ત્રણેય ટ્રેનોને કોલકત્તાથી આવે ત્યારે પણ સ્ટોપ આપીને રેલવે તંત્રે મહત્વની સુવિધા પ્રદાન કરવી જોઈએ.

આ ઉપરાંત ટ્રેન નં. 19209 ભાવનગર ટર્મિનસથી ઓખા સુધી ચાલે છે. સુરેન્દ્રનગર પછી આ ટ્રેન તાલુકા મથક મૂળીરોડ સ્ટેશન પર માત્ર એકતરફી સ્ટોપ નથી, આ ટ્રેન 19210 ઓખાથી ભાવનગર જાય છે ત્યારે સ્ટોપ છે, તેથી મૂળી રોડની આસપાસના લગભગ દસ ગામોના લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે રેલ દ્વારા મુસાફરી કરી શકતા નથી. મૂળી રોડની આસપાસના લગભગ દસ ગામોના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના દેવતા કાળિયા ઠાકર ભગવાન દ્વારકાધીશ છે. તેથી, લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે મોંઘા ભાડા ચૂકવીને દ્વારકા અને બેટ દ્વારકા પહોંચે છે. જો તેમના આંગણાથી ચાલતી ભાવનગર- ઓખા ટ્રેનને મૂળી રોડ સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે તો લોકોને મહત્વની સુવિધા મળી રહે તેમ છે.

આમ ટ્રેન નં. ૧૯૩૧૯/ ૧૯૩૨૦ વેરાવળ- ઇન્દોર- વેરાવળ મહામના એક્સપ્રેસને તીર્થધામ ડાકોર રેલવે સ્ટેશને, નંબર 12906 શાલીમાર- પોરબંદર, નં. 22906 શાલીમાર- ઓખા અને નં. 12950 શાંત્રાગાચી- પોરબંદર કોલકાતાથી આવતી આ ત્રણ ટ્રેનોને વાંકાનેર જં. રેલવે સ્ટેશને અને નંબર 19209 ભાવનગર ટર્મિનસ- ઓખા એક્સપ્રેસ ટ્રેનને મૂળીરોડ સ્ટેશને સ્ટોપ આપવાની ઉતારુંલક્ષી રજૂઆતો કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application