પૈસાની લેતીદેતી મામલે છરીના ઘા ઝીંકી હત્યાના આરોપીને આજીવન સખત કેદ

  • April 18, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં પૈસાની લેતીદેતીના ડખામાં બાઈકમાં જઈ રહેલા હરેશ માધવજીભાઈ મકવાણા સાથે મોટરસાઇકલ ભટકાડી પાડી દઇ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવાના છ વર્ષ પહેલાના કેસમાં અધિક સેશન્સ જજ વી. એ. રાણાએ આરોપી ફિરોઝ જીકરભાઈ મોટલીયાને આજીવન સખત કેદની સજા અને રૂપિયા 25000 દંડ ફટકાર્યો છે. તેમજ મૃતકના પરીવારજનોને રૂા.૧૦ લાખ સરકારી વળતરનો હુકમ કર્યો છે.

આ કેસની હકિક્ત મુજબ, ગઈ તારીખ 23/ 2/ 2019ના રોજ બપોરે રાજકોટમાં સ્વામીનારાયણ મંદિરની સામે આવેલ નકળંક ટી સ્ટોલ પાસે હરેશભાઈ માધવજીભાઈ મકવાણા અને ફીરોઝ મોટલીયા નાણાકીય વ્યવહાર અર્થે મળ્યા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયા બાદ છુટા પડી ગયા હતા, ત્યાર બાદ હરેશભાઈ પોતાનું મોટર સાઇકલ લઈ રવિરત્ન પાર્ક, શેરી ન.૪ ના ખુણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ફીરોઝ મોટલીયાએ બાઈક લઈ પીછો કરી હરેશભાઈના બાઈક સાથે અકસ્માત સર્જી પછાડી દઈ છરીના આડેધડ ઘા ઝીંકી દઇને મોતને ઘાટ ઉતાર્યા હતા. મોટર સાઈકલ ભટકાવાથી આરોપી ફીરોજને પણ ઈજા થતા સિવીલ હોસ્પિટલે જઈ સારવાર લીધી હતી. આ અંગે હરેશભાઇના ભત્રીજા પિયુષ મકવાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ફિરોઝ જીકર ભાઈ મોટલિયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો હતો. તપાસ અધિકારીએ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ કે, બનાવ નજરે જોનાર સાહેદ મૃતકના સગા છે અને તે બનાવ સમયે આ જગ્યાએ હાજર હોય તે સંભવીત નથી. સીસીટીવી ફુટેજની જે સીડી મેળવવામાં આવેલ છે તે સીડી સાથે પુરાવા અધિનિયમની કલમ-૬૫ (બી)નું પ્રમાણપત્ર ન હોવાથી આ સીડીની અંદરનો ડેટા જોઈ શકાય નહીં. તેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, કોઈ નજરે જોનાર સાક્ષી મૃતકના સગા હોય તેથી તે સાક્ષીને અવિશ્વસનીય માની શકાય નહીં. સાક્ષીની વિશ્વસનીયતા તેની ઉલટતપાસ દરમ્યાનના જવાબોથી નકકી થાય છે. હાલના કેસમાં નજરે જોનાર સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાનના કોઈપણ જવાબ તેઓની વિશ્વસનીયતાને ઘટાડતા નથી. સીસીટીવી ફુટેજની સીડી સાથે કલમ-૬૫ (બી)નુ઼ પ્રમાણપત્ર ન હોય તો પણ ગાંધીનગર ખાતેની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાએ આ સીડીનું પરીક્ષણ કરી તેની સચોટતા અંગે અહેવાલ આપેલ છે, તેથી પુરાવા અધિનિયમની કલમ-૬૫ (બી)નું પ્રમાણપત્ર ન હોવા છતાં સીડીની અદરનો ડેટા વિજ્ઞાનિક વિશ્વસનીયતા ધરાવે છે. આ કારણે સીડીમાં રહેલ ડેટા ઉપરથી મરણજનાર તથા તેનું વાહન અને આરોપી તેમજ તેનું વાહન સ્પષ્ટપણે ઓળખી શકાતા હોય ત્યારે આરોપીને તકસીરવાર ઠરાવવો જોઈએ. આરોપી સામેની ચાર્જશીટમાં ૫૧ સાહેદોના નામ જણાવવામાં આવેલ છે પરંતુ બીજા સાક્ષીઓની જુબાની નોંધવામાં આવેલ નથી. આ અંગે સરકાર તરફે જવાબ આપવામાં આવેલ કે, ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈ મુજબ ફક્ત ૧–સાક્ષીની જુબાનીથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય તો બીજા સાક્ષીની જુબાની લેવી પણ જરૂરી નથી. આ ઉપરાંત જયારે આરોપીને બનાવ સમયે ઈજા થયેલ હોય અને સિવિલ હોસ્પિટલમાં તે અંગે આરોપી સારવાર લેવા ગયેલ હોય તે પણ સચોટ સાંયોગીક પુરાવા છે, જેના આધારે પણ આરોપીને તકસીરવાર ઠરાવવો જોઈએ સહિતની દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અધિક સેશન્સ વી.એ. રાણાએ આરોપી ફિરોઝ ઝીકરભાઈ મોટલીયાને આજીવન સખ્ત કેદની સજા અને રૂા.૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.

મૃતકના પરિવારને 10 લાખ સરકારી સહાયનો અદાલત દ્વારા ભલામણ

છ વર્ષ પહેલા રવિ રત્ન પાર્ક નજીક હરેશ માધવજીભાઈ મકવાણાની થયેલી હત્યાના આરોપીને એડિશનલ સેશન્સ જજ વી. એ. રાણાએ આજીવન સખત કેદ, દંડ ફટકારવા ઉપરાંત મૃતકોના પરીવારજનોને રૂા.૧૦ લાખ વળતર પેટે ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application