જામનગર આહીર સમાજના પ્રમુખ તરીકે વકીલ રણમલ કાંબરીયાની વરણી

  • June 07, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આહીર સમાજને મળ્યા નવા પ્રમુખ: આધુનિક યુગની સાથે ચાલી સમાજને નવી ઉંચાઈએ લઇ જવાની નેમ વ્યક્ત કરતા નવનિયુક્ત પ્રમુખ


સૌરાષ્ટ્રભરમાં આહીર સમાજમાં અગ્રેસર એવા જામનગર આહીર સમાજના નવા પ્રમુખ તરીકે સમાજના યુવા આગેવાન અને વકીલાત સાથે સંકળાયેલ શિક્ષિત રણમલભાઈ કાંબરીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આગામી ટર્મમાં જામનગર શહેરમાં વસતા સમાજના દરેક વર્ગને સાથે રાખી આધુનિક યુગની સાથે ચાલી સમાજને નવી દિશા આપવાની નેમ નવનિયુક્ત પ્રમુખ રણમલ કાંબરીયાએ વ્યક્ત કરી છે. યુવા આગેવાનની નિમણુકને આહીર સમાજના આગેવાનો પણ વધાવી શુભેચ્છાઓ પાઠવી છે. 


જામનગર શહેરના આહીર સમાજના પ્રમુખ તરીકે દેવસીભાઈનો કાર્યકાળ પૂર્ણ થતા સમાજની સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટે નવા પ્રમુખ તરીકે શહેરના સક્રિય યુવા આગેવાન અને વકીલ એવા રણમલભાઈ કાંબરીયાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. 


મૂળ જામજોધપુર તાલુકાના વરવાળા ગામના અને બે દાયકા ઉપરાંતથી જામનગરને કર્મ ભૂમિ બનાવનાર યુવા વકીલ રણમલભાઈ કાંબરીયા વિદ્યાર્થીકાળ દરમિયાનથી જ સમાજમાં સક્રિય રહ્યા છે. શિક્ષણના મહત્વના પારખું કાંબરીયા વિદ્યાર્થી કાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રદેશ કક્ષા સુધીની વિવિધ જવાબદારી સંભાળી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં અનેક કાર્યો કર્યા હતા. વકીલાતનો ઉચ્ચ અભ્યાસ કરી રણમલભાઈએ જામનગરમાં પ્રેકટીશ કરી રહ્યા છે. વર્ષોથી આહિર યુવા ગ્રુપમાં સક્રિય સભ્ય તરીકે કામ કરી કાંબરિયા છેલ્લે ચાર ટર્મથી જામનગર આહીર સમાજના મંત્રી તરીકેની સેવા આપે છે. પોતાના આ કાર્યકાળ દરમીયાન આવેલ કોરોના કાળ જેવી વિકટ સ્થિતિમાં આહીર સમાજ દ્વારા દર્દીઓને રહેવા જવાની તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ટિફિન વ્યવસ્થા કરી હતી જેમાં રણમલભાઈની કામગીરીને સર્વેએ વધાવી હતી. આ ઉપરાંત સમાજના દર વર્ષે આયોજીત કરવામાં આવતા સમૂહ લગ્નમાં પણ પ્રથમ હરોળમાં રહી સફળ કામગીરી કરી છે.


આ ઉપરાંત તેઓ સામાજિક-રાજકીય રીતે પણ અગ્રેસર રહી સમાજને ઉપયોગી થવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત જામનગરમાં માધવ સ્કેવર એસોસિએશનમાં પ્રમુખ તરીકે અને જામનગર વકીલ મંડળમાં મંત્રી તરીકેની પણ ફરજ બજાવી છે.  સમાજના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતી વેળાએ વકીલ રણમલભાઈએ સમાજને નવી ઉંચાઈએ લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી. નવા પ્રમુખની નિયુક્તિને આહીર સમાજના તમામ વડીલો, આગેવાનો, યુવાનોએ વધાવી લઇ સુભેરછાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application