જૂનાગઢની યુનિ. ના નવા કુલપતિ માટે ત્રણ નામો સર્ચ કમિટીએ સરકારમાં રજૂ કર્યા

  • May 30, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. નવા કુલપતિની નિમણૂક માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિનભાઈ પેથાણી, રમાનાથ દુબે સહિતના ત્રણ સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં આ કમિટીની અંતિમ બેઠક મળી હતી અને ત્રણ નામોની પેનલ સરકારમાં મોકલી દીધી હોવાનું જાણવા મળે છે.

બિન સત્તાવાર તથા આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને આ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન અભ્યાસ બોર્ડના ચેરમેન તથા જુનાગઢની ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશભાઈ દઢાણીયા, ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસર ટ્રેનિંગ સેન્ટરના અધ્યક્ષ ડોક્ટર જગદીશભાઈ જોશી, સુરત યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર રાજેશભાઈ મહેતાના નામ આ માટે બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા પ્રતાપસિંહ ચૌહાણ, ભાવનગર યુનિવર્સિટી સલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કોઓર્ડીનેટર અને પ્રિન્સિપાલ ગીરીશભાઈ વાઘાણી વગેરેના નામો પણ બોલાઈ રહ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે સિનિયર પ્રોફેસર અતુલભાઇ બાપોદરા જવાબદારી સંભાળે છે. અતુલભાઇ બાપોદરા આવતા મહિને એટલે કે જૂન માસમાં નિવૃત્ત થાય છે અને જૂન માસમા જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી આ યુનિવર્સિટીમાં નવા કાયમી કુલપતિની નિમણૂકની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે તેવું બોલાઈ રહ્યું છે.

જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 162 કોલેજોના દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયા છે. આ યુનિવર્સિટીનું નવું ભવન પણ તૈયાર થઈ ગયું છે, નવા કાયમી કુલપતિ નવા બિલ્ડિંગમાં જવાબદારી સંભાળે તેવું જણાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application