મોટી બાણુંગાર ગામના વેપારી પિતા-પુત્રનું કારસ્તાન: રાય અને જીરૂ ખરીદ કરી બાકી નીકળતી રકમ ન આપી
જાંબુડા ગામના ખેડુત પાસેથી રાય અને જીરૂ રોકડા આપવાની શરતે વેચાણથી લઇને બાકી નીકળતી ૭૦ હજારની રકમ તેમજ અન્યના બાકી નીકળતા રૂા. ૧.૮૬ લાખની રકમ નહી આપીને છેતરપીંડી કરી હતી આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જયાં મોટી બાણુગાર ગામના વેપારી પિતા-પુત્રની સામે કુલ રૂા. ૨.૫૭ લાખની બાકી નીકળતી રકમ નહી આપીને વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર તાબેના જાંબુડા ગામ મેઇન બજારમાં આવેલ પટેલવાસમાં રહેતા ખેડુત સુરેશ પરસોતમભાઇ કાનાણી (ઉ.વ.૫૫) ની ખેતીની જણસ જેમા રાય અને જીરૂના વેચાણથી આરોપીઓએ રોકડા રૂપીયા આપવાની શરતે ખરીદ કરી હતી.
મોટી બાણુંગારના પિતા-પુત્રએ જણસીની ખરીદી કરેલ જેના રૂા. ૩,૭૦,૭૫૬ માંથી રૂા. ૩ લાખ આપી દીધા હતા અને બાકી નીકળતી રકમ રૂા. ૭૦,૭૫૬ આપ્યા ન હતા તેમજ આરોપીઓએ સાહેદ તુષાર વસંતભાઇ સાપોવડીયાની જણસના કુલ રૂા. ૩,૮૬,૮૬૮ માંથી રૂા. ૨ લાખ આપી દીધા હતા.
જયારે બાકી નીકળતી રૂા. ૧,૮૬,૪૬૭ ની રકમ આપી ન હતી, આમ બંને આરોપીઓએ ફરીયાદી સુરેશભાઇ તથા સાહેદ તુષારભાઇની જણશીના કુલ મળી રૂા. ૨,૫૭,૨૨૩ આપેલ ન હોય અને બાકી નીકળતા રૂપીયા આપવાની બંને વેપારીની દાનત ન હોય જેથી ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્ર્વાસઘાત કરી છેતરપીંડી આચરી હતી.
આ બનાવ અંગે ખેડુત સુરેશભાઇ કાનાણીએ ગઇકાલે પંચ-એ માં મોટી બાણુગાર ગામમાં રહેતા પ્રભુલાલ હીરજી ભેસદડીયા અને વિશાલ પ્રભુલાલ ભેસદડીયા બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ - ૪૦૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી, જેના આધારે પંચ-એ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
મોટી બાણુગારના વેપારી પિતા-પુત્રએ બંને ખેડુતો પાસેથી રાય, જી વેચાણથી લઇને બાકી નીકળતી રકમ આપવામાં હાથ ઉંચા કરી દીધા હતા, ગત તા. ૬-૩-૨૧ના સમયગાળાથી રકમ બાકી હોવાનું ફરીયાદમાં જણાવાયુ છે અને આખરે પીયા નહી આપતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.