મે ના અંતિમ દિવસોમાં આકરા તાપ અને બફારાથી લોકો બન્યા ત્રાહીમામ

  • May 30, 2025 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ ભાવનગર
ભાવનગર શહેરમાં વરસાદની આગાહી વચ્ચે આજે બપોર સુધી જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો ન હતો.વરસાદની આગાહી વચ્ચે લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયા છે.મહત્તમ તાપમાન ઘટીને ૩૯.૫,લઘુતમ વધીને ૨૮.૪, ભેજ ૭૨ ટકા, પવનની ઝડપ ૧૪ કિ.મી. રહી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં ૫૦થી ૭૦ કિમીની ઝડપે પવન સાથે ભારે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સખ્ત બફારાથી લોકો પરસેવાથી ભીંજાયા છે.કારણ કે દરરોજ ૬૦થી ૭૦ ટકા કે તેનાથી વધુ ભેજ રહેતો હોવાથી ખૂબ જ બફારો રહે છે.
દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાનમાં અને અરબી સમુદ્રમાં ઊભા થયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ તા.૨૯ મે સુધી ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.આથી ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે માવઠાથી ખેડૂતોને તેના ઉનાળુ પાક અને કેરીના પાકમાં નુકસાન થયું છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં  મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટવા છતાં  ગરમી યથાવત રહી હતી. આભમાંથી અંગારા વરસ્યા હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દરરોજ ભેજના ઊંચા પ્રમાણના કારણે સખ્ત બફારાથી લોકો આખો દિવસ પરસેવે રેબઝેબ થાય છે. સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ, સક્કરટેટી તેમજ અન્ય ઠંડા પીણા અને આઈસક્રીમની ખપત વધી છે.જ્યારે ગરમીથી બચવા ટોપી અને ગોગલ્સની ખરીદી પણ વધી છે.
ભાવનગર શહેરનું  મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૩૯.૫ ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી વધીને ૨૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ.આજે  શુક્રવારે સવારે ભેજ  ૭૨ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૪ કિ.મી. રહી હતી.
આ સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા  ગરમીનું પ્રમાણ વધ્યુ હતું.ખાસ કરીને બપોરે ઉનાળા જેવી આકરી ગરમી રહી હતી.રાત્રે પણ હવે તાપમાન વધુ રહેતા ગરમી રહે છે. આ વર્ષે ગત વર્ષ કરતા પણ ઉનાળો વધુ આકરો મિજાજ દર્શાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેમ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ શહેરમાં અતિ ગરમી બાદ વરસાદના  વાતાવરણના કારણે તાવ,શરદી,ઉધરસ,ઝાડા વગેરેના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.આથી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.લોકોને ખાસ કામ સિવાય ૧૨થી ૫ વાગ્યા સુધી બહાર ન નીકળવા અને લૂ ન લાગે તેનું ધ્યાન રાખવા આરોગ્યતંત્રએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application