હે રામ... ગોંડલમાં એકસાથે ચાર-ચાર અર્થી ઉઠી, અંતિમયાત્રામાં કોણ કોને સાંત્વના આપે એવા હૈયાફાટ રૂદનના દૃશ્યો સર્જાયા

  • April 20, 2025 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભાવનગર રોડ પર સરધાર નજીક થયેલ બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ ગોંડલના 4 લોકોની આજે અંતિમયાત્રા નિકળી હતી. હોન્ડા સિટી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં અલ્ટો કાર સળગી ઉઠતા ગોંડલના 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. શહેરના વોરાકોટડા રોડ વિજય નગર ખાતેથી મૃતક હેમાંશીબેન શાહીલભાઈ સરવૈયા, હેત્વીબેન અતુલભાઈ મકવાણા, નિરૂપાબેન અતુલભાઈ મકવાણા અને મિતુલ અશોકભાઈ સાકરીયાનીઅંતિમ યાત્રા નિકળી હતી.


અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના 3 શાંતિરથમાં અંતિમયાત્રા નીકળતા શહેરીજનોમાં પણ શોકનું મોજુ પ્રસરી ગયું હતું. મુક્તિધામ ખાતે પત્ની નિરૂપાબેન અને પુત્રી હેતવીને એકસાથે અગ્નિસંસ્કાર અતુલભાઈએ આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાની સાથે હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.


ગઈકાલે સરધાર પાસે અકસ્માત થયો હતો

ગઈકાલે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરનાં સરધાર નજીક ભુપગઢ પાસે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળી હતી. અલ્ટો કારમાં સવાર કુલ 8 કૌટુંબિક લોકો પૈકી માતા-પુત્રી સહિત 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અલ્ટોમાં સવાર 8 લોકો સરધાર પાસે આવેલ ભંડારિયા ગામનાં લગ્નમાંથી પરત ગોંડલ આવતા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.


મૃતકોના નામ

  1. નિરુપાબેન અતુલભાઈ મકવાણા, 35, રે. ગોંડલ
  2. હેતવી અતુલભાઈ મકવાણા, 3 વર્ષ, રે. ગોંડલ
  3. હેમાંશી શાહીલ સરવૈયા, 22, રે. ગોંડલ વિજય નગર
  4. મિત અશોકભાઈ સાકરીયા, 12, રે. ગોંડલ


ઇજાગ્રસ્ત

  1. શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
  2. હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
  3. નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ


હેમાંશીબેનના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અલ્ટો કારમાં સવાર તમામ 8 લોકો સરધાર પાસે આવેલ ભંડારિયા ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ગોંડલ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો પૈકીના હેમાંશીબેનના ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થયા હતા. આ બનાવને વોરા કોટડા રોડ, વિજયનગર મફતીયાપરા ખાતે રહેતા અતુલભાઈનાં ઘરે સગા સંબંધીઓ તેમજ આડોસી પાડોશી આવી પહોંચ્યા છે. અતુલ મકવાણાનાં પરિવારમાં માતા પિતા, પતિ, પત્ની અને બે બાળકો હતા જેમાં એક દીકરી હેતવી અને તેના પત્નીનું મોત નીપજ્યું છે અને તેમનો દીકરો સારવારમાં છે.


અલ્ટોમાં કારમાં કુલ 8 લોકો સવાર હતા- ACP


ઇન્ચાર્જ એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતનો બનાવ સરધાર નજીક જે સિંગલ પટ્ટી રોડ છે ત્યાં અંદાજિત 4:00 વાગ્યા આસપાસ શનિવારના રોજ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસને હજુ અલ્ટો કારમાંથી ત્રણ જેટલા મૃતદેહોની વિગતો મળી આવી છે. પોલીસ દ્વારા હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હોન્ડા સીટી કારમાં બનાવ સમયે કેટલા લોકો હાજર હતા તેમજ હોન્ડા સીટી કારના ચાલકને કોઈ ઈજા પહોંચી છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ શરૂ છે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં સાહિલ સરવૈયા, હિરેન મકવાણા અને નીતાબેન સાકરીયાની સારવાર ચાલી રહી છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application