માછીમારોનું તારીખ ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધીનું વેકેશન થયુ જાહેર

  • May 24, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર સહિત ગુજરાતના માછીમારોનું વેકેશન તા. ૧ જુનથી ૧૫ ઓગસ્ટ સુધીનું જાહેર થયુ છે. ભારત સરકાર દ્વારા ૩૧ જુલાઇ સુધીનું જાહેર થયુ છે પરંતુ ગુજરાત સરકાર  દ્વારા ચોમાસા દરમ્યાન સમુદ્ર વધુ રફ હોવાથી માછીમારોની માંગણી અનુસંધાને વેકેશન લંબાવવામાં આવ્યુ છે.
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષારભાઇ કોટીયા દ્વારા પોરબંદર જિલ્લાના તમામ માછીમારોે, એસોસીએશન તથા આગેવાનોને જણાવવામાં આવ્યુ હતુ કે ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ઇન્ડીયન એકસકલુસીવ ઇકોનોમીક ઝોન (ઇઝ)માં ફિશીંગ બાન જાહેર કરેલ છે. તેમાં પશ્ર્ચિમ દરિયાઇ કાંઠા વિસ્તારમાં ૧ જૂનથી ૩૧ જુલાઇ ૨૦૨૫ (બંને દિવસોનો સમાવેશ કરતા  (૬૧ દિવસ) નો સમયગાળો રાખવામાં આવેલ છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમો-૨૦૦૩ તથા સરકારના નોટીફિકેશન-૨૦૨૦માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ તા. ૩૧-૭-૨૦૨૪ થી ફિશીંગ બાનમાં ફેરફાર સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.
જે ધ્યાને લઇ પોરબંદર જિલ્લાના દરિયાઇકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. ૧જુન-૨૦૨૫ થી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૫ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 
રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.આ આદેશનો ભંગ કરનાર સામે  ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ની કલમ -૬/૧(ટ)ના ભંગ બદલ કલમ-૨૧/૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે.
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષારભાઇ કોટીયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઓગસ્ટ મહિનાના આરંભે પણ અરબી સમુદ્ર રફ હોય છે અને તેથી માચ્છીમારો ફિશીંગ માટે નીકળે પછી સંભવિત હવામાનને કારણે તેઓને પરત ફરવા માટે આદેશ આપવા પડતા હોય છે અને તેનાથી માછીમારોને મોટી નુકશાની થતી હોય છે આથી ગુજરાત સરકાર દ્વારા ફિશીંગના સમયગાળામાં ફેરફાર જાહેર કરીને ૧૫ ઓગસ્ટ સુધી માચ્છીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ પ્રકારની માંગણી માચ્છીમાર આગેવાનો અને સંસ્થાઓ દ્વારા  કરવામાં આવતી હતી તે અનુસંધાને માચ્છીમારો અને બોટમાલીકોના હિતમાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application