યુવાનને ઢીકા-પાટુનો માર મારીને ધમકી દીધી : ૩ શખ્સો સામે રાવ
જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા યુવાન પર મન દુ:ખ રાખીને હિંચકારો હુમલો કરાયો છે, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાન ક્રિષ્નાપાર્કમાં મિત્રના ઘરે ગયો હતો ત્યારે બિલાડીના બચ્ચા લેવા નાના બાળકો આવ્યા હતા અને આ મામલે બોલાચાલી થતા ૩ શખ્સોએ યુવાનને માર માર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરના દિ.પ્લોટ ૫૮માં રહેતા વિવેક ભરતભાઇ નંદા (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઇકાલે રણજીતસાગર રોડ પર આવેલ ક્રિષ્નાપાર્કમાં પોતાના મિત્ર મયુર સોલંકીના ઘરે બેઠો હતો ત્યારે આરોપી યુનીસના નાના બાળકો બિલાડીના બચ્ચા લેવા માટે આવેલ હોય જેથી ફરીયાદી વિવેકે તેના મિત્રના ઘરેથી બચ્ચા લેવાની ના પાડતા અને આરોપીની પત્ની સાથે બોલાચાલી થઇ હતી ત્યારબાદ ફરીયાદી વિવેક તેના મિત્રના ઘરની બહાર બેઠો હોય ત્યારે આરોપીઓ ત્યાં આવી જઇ ફડાકા ઝીંકી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
દરમ્યાન ફરીયાદીને કહેલ કે અહીં અમારા લતામાં આવતો નહી નહીતર જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી હતી આ અંગે વિવેક નંદાએ સીટી-એ ડીવીઝનમાં ક્રિષ્નાપાર્કમાં રહેતા યુનીસ ગામેતી, જામનગરના અકરમ બ્લોચ અને મનસુખ આ ત્રણની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. આ બનાવની પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝનની પોલીસ ટીમેં બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી છે.