હાર્ટ અટેક ન આવે તો બીજું શું થાય ? શહેરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઇ

  • June 06, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં વધતા જતા હાર્ટ અટેકના બનાવો શહેરીજનોમાં ચિંતા સાથે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે ખાધપદાર્થોમાં થતી બેફામ ભેળસેળ પણ જન આરોગ્ય માટે ઘાતક હોવાનું અનેક વખત પુરવાર થઇ ચૂક્યું છે. તેમાં પણ ખાસ કરીને દૂધ, શુદ્ધ ઘી, પનીર વિગેરે પદાર્થોમાં તો ભેળસેળનું પ્રમાણ ભયજનક હદે વિસ્તર્યું છે, દરમિયાન પોલીસએ આપેલા ઇનપુટના આધારે મહાપાલિકાની ફૂડ બ્રાન્ચએ વધુ એક ઓપરેશન પાર પાડીને ગોંડલ રોડ ઉપરના રસુલ પરા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘીની વધુ એક ફેક્ટરી પકડી પાડી ૧૨૦ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કર્યો હતો.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રસુલપરા શેરી નં.૩, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, રાજકોટ મુકામે આવેલ શિવ એન્ટરપ્રાઇસીસ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ડુપ્લિકેટ ઘીનો મળી કુલ ૧૨૦ કિલો અખાદ્ય જથ્થો ઝડપી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ ઉપરથી (૧) શુધ્ધ ઘી લુઝ તથા (૨) નટરાજ પ્યોર દેશી બફેલો ઘી ૧૫ કિલો પેકિંગ સહિતના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત શહેરના શાસ્ત્રી મેદાન સામેની હોકર્સ ઝોનવિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી જેમાં

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) ભુરાભાઈ ભૂંગળા બટેટાવાળા (૨)પ્રકાશ ઘૂઘરા (૩)ક્રિષ્ના ઘૂઘરા (૪) દિલ્હી કે છોલે ભટુરે (૫) દિલખુશ પૂરી શાક (૬) વિશાલ ઘૂઘરા (૭)ભૂરાભાઈ રગડવાળા (૮)સીતારામ છોલે ભટુરે (૯)રૂહી મોમોસ (૧૦)ક્રિષ્નાભાઈના ઘૂઘરા (૧૧)મોમાઈ છોલે ભટુરે (૧૨)બોમ્બે વડાપાઉં (૧૩)શક્તિ કૃપા દાળ પકવાન (૧૪) જય શંકર દાળ પકવાન (૧૫) શક્તિ કોલ્ડ્રિંક્સ (૧૬) સંતોષ રગડો (૧૭) રામભાઇ રગડાવાળા (૧૮) શિવ શક્તિ મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવી હતી.


પકડાય નહીં માટે શહેર બહાર જ વેંચતા

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઇ ત્યાં આગળ બનતો જથ્થો રાજકોટ શહેરની હદ બહાર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વેંચાણ કરાતો હતો જેથી પકડાય નહીં. અલબત્ત ડુપ્લીકેટ ઘી બનાવવાનું સ્થળ મહાપાલિકાના હદ વિસ્તારમાં હોય ફૂડ બ્રાન્ચએ કાર્યવાહી કરી હતી.


પ્યોર દેશી ઘીનું લેબલ પણ લગાવતા હતા

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોક્ત ડુપ્લીકેટ ઘીની ફેકટરીમાં બનતા ઘીનું નટરાજ પ્યોર દેશી બફેલો ઘી તેવા લખાણ સાથેના લેબલ પેકિંગ સાથે વેંચાણ કરતા હતા ! તેવું તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું.


ભેળસેળયુક્ત ઘીથી બેડ કોલેસ્ટ્રોલ વધે

મહાપાલિકાની આરોગ્ય શાખાના તબીબી વર્તુળોએ જણાવ્યું હતું કે વેજીટેબલ ઘી તેમજ ભેળસેળ યુક્ત ઘીનું લાંબો સમય સુધી સતત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને તેનાથી હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક વિગેરે આવવાની શક્યતા રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application