સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલતા નેવલ યુનિટ એન.સી.સી. કેમ્પની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

  • June 04, 2025 02:37 PM 


કલેકટરએ કેડેટ્સને 'રાષ્ટ્ર સેવા પરમો ધર્મ' નો મંત્ર આપી જીવનમાં શિસ્ત, સેવા અને મહેનતનું મહત્વ સમજાવ્યુ

શિસ્તબદ્ધ નાગરિકોની સાથે કટોકટીના સમયે સમાજને મદદરૂપ થઈ શકે તેવા સ્વયંસેવકો મળી રહે તે હેતુથી કેડેટ્સને સિવિલ ડિફેન્સની તાલીમ અપાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલી રહેલા નેવલ યુનિટના એન.સી.સી.કેમ્પની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા અને તેમને 'રાષ્ટ્ર સેવા પરમો ધર્મ' નો મહત્વપૂર્ણ મંત્ર આપી શિસ્ત, સેવા અને મહેનતની જીવનમાં કેટલી અગત્યતા છે તે વિશે વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.


તેમણે જણાવ્યું હતું કે આ ગુણો માત્ર રાષ્ટ્રસેવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. કલેક્ટરશ્રીના પ્રેરણાદાયી શબ્દોથી યુવા કેડેટ્સમાં દેશભક્તિ અને સમર્પણની ભાવના વધુ પ્રબળ બની હતી.

અહીં કેડેટસે પણ કલેકટર સમક્ષ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા અને કેમ્પમાં તેઓએ કઈ નવી બાબતો જાણી અને જોઈ તે વિશે જણાવ્યું હતું.સાથે જ કેડેટ્સે કલેક્ટર સમક્ષ પ્રશ્નોત્તરીના માધ્યમથી સંવાદ સાધ્યો હતો જેમાં તેઓએ ભવિષ્યની તૈયારી, દેશસેવામાં જોડાવા શુ કરવું, ઉચ્ચ અભ્યાસ અને તે માટેનું માર્ગદર્શન વગેરેની ચર્ચા કરી હતી.કલેક્ટર પણ ખૂબ જ રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જેનાથી એન.સી.સી. કેડેટ્સમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો.


માત્ર શિસ્તબદ્ધ નાગરિકો જ નહીં, પરંતુ કટોકટીના સમયે સમાજને મદદરૂપ થઈ શકે તેવા સક્ષમ સ્વયંસેવકો પણ મળી રહે તે હેતુથી આ એન.સી.સી. કેમ્પમાં કેડેટ્સને સિવિલ ડિફેન્સની પણ તાલીમ આપવામા આવી હતી.

કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેમ કે પૂર, ધરતીકંપ, મોટા અકસ્માતો, કે આતંકવાદી હુમલા ના સમયે, સામાન્ય નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે. એન.સી.સી. કેડેટ્સને આ તાલીમ આપવાથી તેઓ આપત્તિ વ્યવસ્થાપન માટે તૈયાર થાય છે.પોતાના અને અન્ય લોકોના જીવ બચાવવા સક્ષમ બને છે.પોલીસ, NDRF (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ) અને અન્ય રાહત એજન્સીઓને મદદરૂપ થઈ શકે છે.


સિવિલ ડિફેન્સ અંતર્ગત કેડેટ્સને પ્રાથમિક સારવાર, ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આપવી, ઘાવની સારવાર, ફ્રેક્ચરની સ્થિતિમાં મદદ, શોધ અને બચાવ  વગેરેની તાલીમ અપાઈ હતી. આ તાલીમ દ્વારા એન.સી.સી. કેડેટ્સ ભવિષ્યમાં કોઈપણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બને છે અને "રાષ્ટ્ર સેવા પરમો ધર્મ" ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.

આ મુલાકાત દરમિયાન નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ વી.કે.ઉપાધ્યાય, 8 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટ જામનગરના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાય, એસોસિએટ એન.સી.સી. ઓફિસર્સ, પરમેનન્ટ ઇન્સ્ટ્રક્ટર તથા બહોળી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application