4 લાખનું 16 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં મકાન પડાવી લઇ વ્યાજખોરોએ યુવાનને મારમાર્યો

  • April 09, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પોપટપરામાં રહેતા અને સિઝનલ વસ્તુનો ધંધો કરનાર શીખ યુવાને બે શખસો પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં 16 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં આ બંને શખસો ઘરે આવી પઠાણી ઉઘરાણી કરતા હતા તેમજ યુવાનને ઘરેથી બહાર લઈ જઈ ઢોર મારમાર્યો હતો. જેના ડરના લીધે યુવાને ઘર પણ મૂકી દીધું હતું. વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઇ યુવાનની પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે આ મામલે ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે બંને શખસો સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પોપટપરા શેરી નં.૨ પુલની પાછળ રહેતા નીકિતાબેન રાજેશભાઇ તલવાર(ઉ.વ ૨૭) નામના શીખ પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ બદવાણી,જાવેદ તથા એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પતિ-પત્ની બંને મળી સિઝનેબલ ચીજ વસ્તુઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


ગઇ તા. ૭/૪/૨૦૨૫ માં સાંજના સમયે તે તેમના પતિ સહિતના પરિવારજનો ઘરે હાજર હતા તે સમયે સદામ અને તેની સાથેનો અજાણ્યો શખસ છરી લઇ ઘરે આવ્યો હતો અને પરિણીતાના પતિ રાજેશભાઇને ઘરેથી બહાર લઇ જઇ ઢોર મારમાર્યો હતો.જેમાં તેમને ઇજા પહોંચતા તે મોડી રાતે ઘરે આવ્યા હતા અને ખુબજ ગભરાઇ ગયા હતાં.સદામ પાસેથી ફરિયાદીના પતિ રાજેશભાઇએ દોઢ વર્ષ પૂર્વે ત્રણ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં જેનું ૮ લાખ વ્યાજ ચૂકવ્યું છે તેમજ જાવેદ પાસેથી આઠ માસ પૂર્વે એક લાખ વ્યાજે લીધા હતા અને તેને પણ સાતથી આઠ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું છે.તેમછતા જાવેદ પણ અવારનવાર હેરાન કરે છે. સદામને આટલું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પોપટપરા પોલીસ ગ્રાઉન્ડ સામે આવેલ ફરિયાદીનું મકાન પડાવી દીધું છે અને તેમાં કબજો કરી લીધો છે. આ બંને જાવેદ અને સદામ અવારનવાર ફરિયાદીના પતિ રાજેશભાઈને મારમારી વ્યાજના રૂપિયા ભરવા દબાણ કરે છે અને વારંવાર મારી નાખવાની ધમકી આપે છે. વ્યાજના પૈસા પાછા નહીં આપો તો તમને મારી નાખીશું તેવી ધમકી આપે છે. તા. 7/4 ના ફરિયાદીના પતિ ડરના લીધે ઘરેથી ભાગી ગયા હતા અને ફરિયાદીને ફરિયાદના નોંધાવવા માટે પણ આ બંને દબાણ કરતા હોય તેમજ રૂપિયા આપવાનો ટાઈમ માંગે તો પણ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી આ બંનેના ત્રાસથી કંટાળી ગઈકાલે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ મામલે ફરિયાદ નોંધાવતાં પ્ર.નગર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application